ગટર નહીં બને તો વિસાવદર વાળી થશે: હળવદના ચરાડવા ગામે ભૂગર ગટરની સુવિધા માટે જન આંદોલન, પ્રશ્ન ન ઉલેકાય તો ઉગ્ર આંદોલન
SHARE







ગટર નહીં બને તો વિસાવદર વાળી થશે: હળવદના ચરાડવા ગામે ભૂગર ગટરની સુવિધા માટે જન આંદોલન, પ્રશ્ન ન ઉલેકાય તો ઉગ્ર આંદોલન
હળવદ તાલુકાના ચરડવા ગામે વર્ષોથી ભૂગર ગટરની કોઈ સુવિધા નથી. જેથી સ્થાનિક લોકોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી આજે કલેક્ટર કચેરી ખાતે ચરાડવા ગામના લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે રાખીને આવ્યા હતા અને “ગટર નહીં તો મત નહીં” ના સૂત્રોચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર સ્વચ્છતા ઉપર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ભાર મૂકીને ઘર ઘર શૌચાલય સહિતની યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે અને જાહેરમાં ગંદકી ન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામે ઉલ્ટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
ચરાડવા ગામની વાત કરીએ તો આ ગામમાં આજની તારીખે 15 હજાર લોકોની વસ્તી છે અને હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ છે જો કે, વર્ષોથી આ ગામમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી નથી. એવું નથી કે, આ ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા જોઈતી નથી પરંતુ ધારાસભ્ય, સાંસદ, અધિકારી અને સ્થાનિક નેતાઓને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ગામના લોકોને રજૂઆતને ધ્યાને લઈને ગામના લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેની કોઈ કામગીરી કોઈએ કરેલ નથી.
એટ્લે જ તો આજે 21 મી સદીમાં ચરાડવા ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા મળે તેના માટે જન આંદોલન કરવું પડ્યું છે. ચરાડવા ગામેથી મહિલાઓ સહિતના અંદાજે 250 થી વધુ લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે રાખીને મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને “ભૂગર ગટર નહીં તો મત નહીં” આવા સૂત્રોચાર પણ કર્યા હતા
ચરાડવાના સ્થાનિક મહિલા ચંદ્રિકાબેન સોનાગ્રા, મીનાબેન વાસુદેવભાઈ, હંસાબેન સોનાગ્રા સહિતના મહિલાઓના કહેવા મુજબ ઘર સફાઈનું પાણી શેરીમાં આવે જેથી કરીને મહિલાઓ અને પાડોશીઓ વચ્ચે અનેક વખત મારા મારી સહિતની ઘટનાઓ ચરાડવા ગામમાં બનેલ છે તો પણ ભૂગર્ભ ગટરની સુવિધા કેમ આપવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે અને જો હવે પ્રશ્ન ઉકેલાશે નહીં તો ચરાડવામાં વિસાવદર વાળી થશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ત્યારે કલેક્ટર કે.બી. ઝવેરીએ કહ્યું હતું કે તમારો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તેના માટે થઈને અધિકારીઓને સાથે રાખીને વહીવટી તંત્રની પહેલા મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારબાદ એમપી, એમએલએને સાથે રાખીને કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં ચરાડવા ગામે ગ્રામસભા કરવામાં આવશે અને ગટરનો જે પ્રશ્ન છે તે ઉકેલવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી કલેકટર દ્વારા આપવામાં આવેલ છે.
આમ આદમી પાર્ટીના આગેવાન ચંદુભાઈ મોરીએ જણાવ્યુ હતું કે, આજે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર દ્વારા ગટરનો પ્રશ્ન ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે પરંતુ તેઓની ખાતરી મુજબ ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉલેકવા માટે જો કામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન, ભૂખ હડતાલ સહિતના ઉગ્ર આંદોલનો કરવામાં આવશે તેવી ચીમકી ગામના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.
