રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત
SHARE
રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત
કચ્છ બોર્ડરના રેન્જ આઈજી ચિરાગ કોરડિયા મોરબી એસપી ઓફિસે આવ્યા હતા ત્યારે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામની પવિત્ર પ્રતિમા આપીને તેઓનું મોરબી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, અજય મારવણિયા તથા પરેશ ઘોડાસરા દ્વારા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દેશના નિકાસ ક્ષેત્રે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મોરબી સિરામિક ઉદ્યોગના મહત્વપૂર્ણ યોગદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ કચ્છ વિસ્તારમાંથી ઉદ્યોગ માટે આવતા વિવિધ પ્રકારના કાચા માલના પરિવહન અને પુરવઠા દરમિયાન સર્જાતી મુશ્કેલીઓ તથા તેના કારણે ઉદ્યોગને પડતા પડકારો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે એસપી મુકેશકુમાર પટેલે પણ ચર્ચામાં સહભાગી બની જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હંમેશાં જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને સહયોગની ભાવના સાથે કાર્ય કરતો આવ્યો છે. ઉદ્યોગના વિકાસ અને જાહેર હિતના કાર્યોમાં પણ સિરામિક ઉદ્યોગકારોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ ઉદ્યોગકારોની રજૂઆતો સાંભળીને મોરબીના સિરામિક ઉદ્યોગને કોઈપણ પ્રકારની અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તંત્ર તરફથી શક્ય તમામ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ઉદ્યોગને લગતા પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે પોલીસ તંત્ર હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરશે તેવી પણ તેમણે ખાતરી આપી હતી.









