મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો
SHARE
મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જીલ્લામાં જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા જેમાં વાંકાનેરના રામપરા વીડી સેંચ્યુરીમાં સાંસદની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બાબા સાહેબ આંબેડકર સ્કૂલના પરિસરમાં 100 વૃક્ષોનું રોપણ કરાયું હતું અને મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નેક્સિયન સિરામીક ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વાંકાનેરના રામપરા વીડી સેંચ્યુરીમાં વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેરના રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માઁ કે નામના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, D.F.O., R.F.O. તેમજ વાંકાનેર રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, જિલ્લાના તેમજ તાલુકા અને શહેર ભાજપના હોદેદારો, તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પર્યાવરણની સુરક્ષા દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવ્યુ હતું. અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેર કરવાની જવાબદારી લેવા અપીલ કરી હતી.
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 100 વૃક્ષોનું રોપણ
વિશ્વ પર્યાવરણ દિવસે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બાબા સાહેબ આંબેડકર સ્કૂલના પરિસરમાં 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ મોટા અને ૮૦ નાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજના સમયમાં પર્યાવરણનું જતન કરવું એ માત્ર એક જવાબદારી નથી.પરંતુ આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી ફરજ પણ છે. શાળાના બાળકો સ્વચ્છ હવા, હરિયાળું વાતાવરણ અને કુદરતની નજીક રહીને સ્વસ્થ જીવન જીવી શકે તે હેતુથી આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા અને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનું યોગદાન આપ્યું હતું.
નેક્સિયન સિરામીક દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મોરબીના ઉંચી માંડલ સ્થિત નેકિસયન સીરામીક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.