મોરબી સબ જેલમાં ધબધબાટી, વાપરવા આપેલ શેમ્પૂ પરત માંગતા એક કેદીને બીજા કેદીએ માર માર્યો !
SHARE
મોરબી સબ જેલમાં ધબધબાટી, વાપરવા આપેલ શેમ્પૂ પરત માંગતા એક કેદીને બીજા કેદીએ માર માર્યો !
મોરબી સબ જેલમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં એક કેદીએ બીજા કેદીને શેમ્પુ વાપરવા આપ્યુ હોય અને તે વાપરવા આપેલ શેમ્પુ પરત માંગતા સામેવાળાએ તેને માર માર્યો હતો ! જેથી ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલ મોરબીની સબજેલ ખાતે રહેતા કૈદી મયુર હરખજીભાઈ માલણીયાદ દેવીપુજક (૨૫) હાલ રહે.સબજેલ મૂળ રહે.જેતપર તા.મોરબીને જેલ ખાતે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી.જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે જેલમાં જ રહેલા કૈદી અમિત ઉર્ફે વિની સુખરામ માલાવત હાલ રહે.સબ જેલ મોરબી મૂળ રહે. રાજસ્થાનની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેણે પોતે સામેવાળા અમિત માલાવતને શેમ્પુ વાપરવા માટે આપ્યુ હતુ.જે પરત માંગતા અમિતે ઝઘડો કર્યો હતો અને બાદમાં માર માર્યો હોય ઇજાઓ થઇ હતી.હાલ આ બાબતે પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ શરૂ કરાય છે.જ્યારે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ઝરીનાબેન વલીમામદભાઈ પારેડી નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને તેમના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હોય તેમને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.
બાટલો ફાટતાં દાઝી ગયા
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્ટારકો સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના મજુર પરિવારના મહિલા તથા બે બાળકો તેમના લેબર કવાટર ખાતે હતા અને મહિલા રસોઈ બનાવતા હતા તે સમયે બાટલો ફાટ્યો હતો.જેથી લાગેલી આગમાં દાઝી જવાથી મનિષાબાઈ અર્જુનસિંહ ગોયલ (૩૨), રવિન્દ્રસિંહ અર્જુનસિંહ ગોયલ (૧૪) અને અનન્યાબેન અર્જુનસિંહ ગોયલ (૧૨) દાઝી ગયા હોય ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના શનાળા-કંડલા બાઇપાસ ઉપર આનંદનગર પાસે રિક્ષા સાથે અકસ્માત બનાવમાં ઈજા પામેલા કરશનભાઈ ડાયાભાઈ દેલવાડીયા (૬૯) રહે.મોડપર નામના આધેડને ઇજાઓ થઈ હોય અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના જીવાપર (આમરણ) ગામે રહેતા નરેન્દ્રભાઈ મયુરભાઈ હડિયલ નામના ૨૫ વર્ષના યુવાને રણુજા મંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.જ્યારે મોરબીના રવાપર રોડ અમી એવન્યુ વિસ્તારમાં રહેતા દીશાબેન ધરમભાઈ ભાલોડીયા નામના ૨૮ વર્ષીય મહિલા કોઈ કારણસર ફીનાઇલ પી ગયા હોય તેણીને પણ મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં આવેલા બોડીદર ગામના ભરતભાઈ ગાંડાભાઇ ચૌહાણ નામનો ૩૬ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં રોજડુ (જંગલી પ્રાણી) આડુ ઉતરતા વાહન સ્લીપ થયું હતું અને તેમાં ઇજા પામ્યો હોય તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે. જ્યારે વાંકાનેરના ટાઉનહોલ પાસે રહેતા હકાભાઇ ભીખાભાઈ રાઠોડ નામના ૬૫ વર્ષના વૃદ્ધ કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેમને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેર ખાતે રહેતા આકાશભાઈ સમરતભાઈ નામનો ત્રીસ વર્ષીય યુવાન રેલ્વે પ્લેટફોર્મ ખાતે પડી ગયો હોય ઇજા પામતા તેને પણ અહીં મોરબી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.