હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં
ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ
SHARE
ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલનું પૂરતું વળતર મેળવવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આંદોલન બાબતે સરકારમાંથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી ત્યારે સરકાર અને ખાનગી વીજ કંપની સામે લડી લેવાના ખેડૂતો મક્કમ હોય તેવો ઘાટ જોવા મળ્યો છે કારણ કે, આજે સવારથી ઉપવાસી છાવણી ખાતે જે મંડપ હતા તે જગ્યા ઉપર વોટરપ્રૂફ ડોમ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જ્યાં સુધી હવે સરકાર અને ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની માંગણી ન સંતોષવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે
મોરબીના જેતપર ગામ સહિત સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યા ઉપર ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ક્યાંકને ક્યાંક ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે કારણ કે ખેડૂતોની ખેતીની જમીનમાં વીજપોલ ઊભા કરવામાં આવે છે પરંતુ તેની સામે તેઓને પાસેરામાં પૂણી જેટલું જ વળતર આપવામાં આવે છે અને તેના વિરોધમાં જુદી જુદી જગ્યા ઉપર ખેડૂતો અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેઓની માંગણી અને લાગણીને ધ્યાનમાં લેવામાં આવી નથી.
દરમિયાન છેલ્લા 15 દિવસથી મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેવામાં ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની મીટીંગ મળી હતી અને તેમાં ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર બાબતે કોઈ નવી નીતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી જોકે ગઈકાલની મિટિંગના અંતે વળતર બાબતે કોઈ નવી નીતિ જાહેર કરવામાં આવી ન હતી તેમજ આંદોલન કરતા ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છ માંગણીઓ મુદે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે પછી તેને સંતોષવામાં આવી નથી જેથી ખેડૂતો પણ હવે સરકાર અને ખાનગી વીજ કંપની સામે લડી લેવાના મૂડમાં છે કેમ કે, અત્યાર સુધી જેતપર ગામે જે ઉપવાસી છાવણી હતી તેને વરસાદની આગાહીને ધ્યાને લઈને આજે સવારથી વોટરપ્રૂફ ડોમ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તેના સંકેત હાલમાં મળી રહ્યા છે.