મોરબી : સસ્તા અનાજના દુકાનદારો પાસેથી ચૂંટણી સહિતની અન્ય કામગીરી ન લેવા માંગ
SHARE
મોરબી : સસ્તા અનાજના દુકાનદારો પાસેથી ચૂંટણી સહિતની અન્ય કામગીરી ન લેવા માંગ
મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના સભ્ય એવા પ્રવિણચંદ્ર પી.જોશીએ રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદને લેખિતમાં પત્ર લખીને માંગ કરી છે અને તેમાં જણાવ્યું છે કે, જિલ્લામાં જે સસ્તા અનાજના દુકાનદારો છે તેઓની પાસેથી ચૂંટણીલક્ષી કામગીરી ન લેવી જોઇએ કારણ કે તેના લીધે ગ્રાહકોને હેરાન થવું પડે છે.
રજૂઆતમાં પી.પી.જોષીના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં હાલમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોની પાસેથી ચૂંટણી સમયે તેઓની ફરજ ઉપરાંત વધારામાં મામલતદાર વિભાગ તરફથી વધારાની ફરજ બજાવવાનું કહેવામાં આવે છે જે તદન વ્યાજબી નથી.કારણ કે અન્ય કોઇ સરકારી કામ કરવાની દુકાનદારની કોઈ જવાબદારી હોતી જ નથી અને સસ્તા અનાજના ડીપો સિવાય તે વ્યક્તિની કોઇ અન્ય જવાબદારી હોતી જ નથી કે તેના ઉપર સરકાર પગલાં લઈ શકે તેમ જ દુકાનદાર ચૂંટણીની કામગીરી કરવા જાય ત્યારે સસ્તા અનાજની દુકાનો બંધ રહે છે જેના લીધે હજારો રેશનકાર્ડ ધારકોને તેના લીધે સમયસર રાસન મેળવવામાં મુશ્કેલી પડે છે અને દુકાન બંધ રહેતા સમયસર લોકોને રાસન મળતું નથી.
તે ઉપરાંત સસ્તા અનાજની દુકાનના દુકાનદારો પાસેથી સેવા સેતુ કે અન્ય કોઈપણ સરકારી કામકાજ હોય ત્યારે પણ હુકમો કરવામાં આવે છે જે ગેરવ્યાજબી છે.મોરબી જિલ્લામાં હજારો સરકારી કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ પાસેથી કામ લેવુ જોઇએ તે ઉપરાંત અન્ય કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓ પણ છે તેઓની સેવા લેવી જોઈએ.ભવિષ્યમાં ચૂંટણી સંદર્ભે કોઈપણ પ્રકારની કામગીરીની જરૂર પડે ત્યારે મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારોને કોઈ કામ ન સોંપવામાં આવે તેવી પી.પી.જોષીએ લેખીતમાં માંગ કરી છે.કારણ કે સસ્તા અનાજની દુકાનના દુકાનદારોને ચુંટણીલક્ષી કે અન્ય સરકારી કામ સોંપવાના કારણે તેઓની દુકાન બંધ રહે છે જેના પગલે લોકોને સમયસર અનાજ મળતું નથી.વળી દુકાનો બંધ રહેવાના કારણે ગ્રાહકો દ્વારા પણ દુકાનદાર ઉપર તડાપીટ બોલાવવામાં આવે છે જે પણ વ્યાજબી નથી.માટે ઉપરથી અધિકારીઓ દ્રારા અને નીચેથી ગ્રાહકો દ્વારા સૂડી વચ્ચે સોપારી જેવી હાલત દુકાનદારોની થઈ જાય છે.આજના સમયમાં ખૂબ જ નજીવા કમિશને સસ્તા અનાજની દુકાનોના દુકાનદારો કામ કરતા હોય છે ત્યારે તેઓનો દુકાન ભાડું, તોલાટ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ વિગેરે ખર્ચ આવતા હોય છે માટે અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા વિભાગના સભ્ય પી.પી.જોશીએ મુખ્યમંત્રીને પણ આ અંગે પત્ર લખીને યોગ્ય કરવાની માંગ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.