મોરબીના ખાનપર ગામે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા આધેડને રાજકોટ ખસેડાયા
SHARE
મોરબીના ખાનપર ગામે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા આધેડને રાજકોટ ખસેડાયા
મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી ગરાસીયા આધેડે આજે વહેલી સવારે તેઓના ઘેર અગ્નિસ્નાન કરતાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાનપર ગામના વતની વનરાજસિંહ મંગુભા જાડેજા નામના ૫૭ વર્ષીય આધેડે આજે વહેલી સવારે તેમના ઘેર શરીરે કેરોસીન છાંટી સળગી જતા દાઝી ગયેલી હાલતમાં તેમને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં રાબેતા મુજબ મોરબી સિવિલમાં બર્ન્સ વિભાગ ન હોય પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ તેઓને રાજકોટ ખસેડાયા છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે પ્રભુકૃપા રેસીડેન્સીમાં રહેતા રમેશભાઈ પરસોત્તમભાઈ મોરડીયા નામના ૫૬ વર્ષીય આધેડ શહેરના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત રમેશભાઈ મોરડીયાને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે વાંકાનેર તાલુકાના લીંબાળા ગામના રહેવાસી માનાભાઈ દેવાભાઈ કાત્રોડિયા નામના ૫૬ વર્ષીય આધેડે પગપાળા વાડીએ જતા હતા તે સમયે તેમને અજાણી કારના ચાલકે હડફેટે લેતાં તેઓને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બંને બનાવો અંગે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલા જવાહરનગર વિસ્તારમાં રહેતા મહેશ કાંતિલાલ ભંખોડિયા નામના ૨૮ વર્ષીય યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે માધાપરા વિસ્તારમાં શેરી નંબર ૧૨ માં રહેતા સુશીલાબેન પોપટભાઇ ડાભી નામના ૬૪ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે માધાપરના ખૂણે વાવડી રોડ ઉપર તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી સુશીલાબેનને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.