“અચ્છે દિન” આવશે ?: મોરબીની સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં આગામી બુધવારથી બેથી ત્રણ રૂપિયાનો વધારો
SHARE








“અચ્છે દિન” આવશે ?: મોરબીની સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં આગામી બુધવારથી બેથી ત્રણ રૂપિયાનો વધારો
નેચરલ ગેસના ભાવ વધતાં હવે વિટ્રીફાઈડ ટાઈલ્સ પણ બની મોંઘી: સિરામિક વિટ્રીફાઈડ એસો.ના સભ્યોની મીટીંગમાં લેવામાં આવ્યો નિર્ણય: ગેસ અને રો મટિરિયલ્સના ભાવ વધતાં ના છૂટકે કરાયો ટાઈલ્સના ભાવમાં વધારો: મોરબીના ઉદ્યોગકારો આંતરિક હરીફાઈ બંધ કરે તો સારા પરિણામ મળે તેવી શક્યતા
મોરબીની સિરામિક ટાઈલ્સ ધીમેધીમે કરતાં મોંઘી બની ગઈ છે કેમ કે, સિરામિક ટાઈલ્સના ઉત્પાદન માટે વપરાતા તમામ રો-મટીરીયલ્સના ભાવમાં વધારો થઇ ગયો છે અને તેની સાથોસાથ તાજેતરમાં નેચરલ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ટાઈલ્સની પડતર કિમત દિનપ્રતિદિન વધી રહી હતી જેથી મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના સભ્યોએ મીટીંગ કરી હતી અને સર્વાનુમતે સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી બુધવારથી વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્કેવર ફૂટે બેથી ત્રણ રૂપિયાનો વધારો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવું સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખે જણાવ્યું છે
વર્તમાન સમયમાં દેશની અંદર ઉત્પાદિત કરવામાં આવતી નાનામાં નાની વસ્તુના ભાવ છેલ્લા એક વર્ષમાં વધ્યા છે પરંતુ મોરબીની સિરામિક ટાઈલ્સ એક માત્ર એવી આઈટમ હતી કે જેના ભાવમાં છેલ્લા વર્ષોમાં વધવાના બદલે સ્થનિક હરીફાઈ સહિતના કારણોસર ઘટી રહ્યા હતા તેવામાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા ટાઈલ્સનું ઉત્પાદન નેચરલ ગેસના ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે ત્યારે ટાઈલ્સની પડતર કિમંત ગેસનો ભાવ વધવાના લીધે ઉચી આવી છે અને અધૂરામાં પૂરું ટાઈલ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા રો-મટીરીયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી મોરબી વિટ્રીફાઈડ એસો.ના સભ્યોની મીટીંગ મળી હતી જેમાં ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્કેવર ફૂટે બેથી ત્રણ રૂપિયાનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ભાવ વધારો આગામી બુધવારથી જ લાગુ કરવામાં આવશે
મોરબી વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, સિરામિક ઉદ્યોગકારો અને ઉદ્યોગને ટકાવી રાખવા માટે ટાઈલ્સના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો હોવાથી મોરબી વિટ્રીફાઈડ એસો.ના સભ્યોની મીટીંગ મળી હતી અને તમામ સભ્યોની હાજરીમાં વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં સ્કેવર ફૂટે બેથી ત્રણ રૂપિયાનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ભાવ વધારો પહેલી સપ્ટેમ્બરથી જ મોરબી વિટ્રીફાઈડ એસો.ના સભ્યો દ્વારા લાગુ કરી દેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં વિટ્રીફાઈડની ટાઈલ્સ જે ભાવેથી ઉદ્યોગકારો દ્વારા વેચવામાં આવી રહી છે તેમાં ૧ લી સપ્ટેમ્બરથી વિટ્રીફાઇડ ટાઇલ્સમા જીવિટી / પીજીવિટી બંનેના ભાવમા ૬૦૦ x ૬૦૦ સ્કવેર ફુટે બે રૂપિયા અને ૬૦૦ x ૧૨૦૦ સ્કવેર ફુટે બે રૂપિયા તેમજ ૮૦૦ x ૮૦૦ સાઇઝમાં સ્કવેર ફુટે ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે
વિશ્વ ફલક પર મોરબીનું નામ રોશન કરતો સિરામિક ઉદ્યોગ બહારથી તો ખુબ જ વિકસિત દેખાઈ છે પરંતુ તે અંદરથી બજારમાં ટકી રહેવા માટે છેલ્લા ઘણા સમયથી ખુબ જ જજુમી રહ્યો છે તે હક્કિત છે અને આજની તારીખે મોરબીની આસપાસમાં આવેલા સિરામિકના કારખાનાઓમાંથી વોલ ટાઈલ્સના ઘણા કારખાના બંધ છે અને હાલમાં ટાઈલ્સની પડતર કીમત વધી રહી છે અને છેલ્લા ઘણા સમયથી ટાઈલ્સના ભાવમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો ત્યારે હાલમાં ટાઈલ્સના ભાવમાં જે વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તેની અમલવારી તમામ સભ્યો દ્વારા કરવામાં આવશે તો મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો થાય તેમ છે
સિરામિક ઉદ્યોગપતિ પાસેથી મળી રહેલી માહિતી મુજબ વર્ષોથી સિરામિક ટાઈલ્સના ઉત્પાદની કોસ્ટને નીચી લઇ જવા માટે અગાઉ કોલગેસ પ્લાન્ટ આધારે કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો જો કે, હાલમાં ગેસનો ઉપયોગ કરીને ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી કરીને તેની પડતર કિમત વધી રહી છે માટે સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો થઇ ગયો છે જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગની ભારતમાં કોઈ હરીફાઈ કરી શકે તેમ નથી તેવા સમયે મોરબીના ઉદ્યોગકારો આંતરિક હરીફાઈ બંધ કરીને સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો કરીને ટાઈલ્સનું વેચાણ કરશે તો સો ટકા આગામી દિવસોમાં તેના સારા પરિણામ મળશે અને ઉદ્યોગની મુશ્કેલીઓ પણ ઘટી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

