મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ ઝુલતા પુલના કેબલ વાયરના સેમ્પલ લેતું એફએસએલ
SHARE
મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ ઝુલતા પુલના કેબલ વાયરના સેમ્પલ લેતું એફએસએલ
રવિવારની સાંજે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત અત્યાર સુધીમાં નોંધાયા છે અને હજુ પણ ઘણા બધા લોકો સારવાર હેઠળ છે ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા જુદી જુદી રીતે આ બ્રિજ તૂટવાના મુખ્ય કારણને શોધવા માટે થઈને તપાસ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એફએસએલની ટીમ દ્વારા અત્યાર સુધીમાં આ ઘટના સ્થળની ચાર વખત મુલાકાત લીધેલી છે અને અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે મુખ્ય કેબલ વાયર ઉપર આ હેંગિંગ પુલ વર્ષોથી લટકતો હતો તે કેબલ વાયર તૂટીયો હતો તે જગ્યાએથી અને અન્ય સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ કર્યા બાદ એફએસએલ દ્વારા તેનો રિપોર્ટ આવશે અને પછી ચોક્કસ માહિતી સામે આવશે
છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના લોકો માટે હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ કહી શકાય તેવું ઝૂલતો પુલ ૧૩૫ લોકો માટે કાળ મુખો જુલતો પુલ બની ગયો છે કારણ કે રવિવારની સાંજે પોતાના પરિવાર સાથે ત્યાં ફરવા માટે ગયેલા લોકો પૈકીના ૧૩૫ લોકો ઝુલતો પુલ તૂટવાના કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા અને આ બનાવ બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સીના લોકોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે તેની સાથોસાથ જુદા જુદા પાસાઓ ઉપર પણ જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ ગુનેગાર છટકી ન જાય તે માટે થઈને એક પણ પાસાને નજર અંદાજ કરવામાં આવતા નથી.
દરમ્યાન એફએસએલની ટીમ દ્વારા હાલમાં જે જગ્યા ઉપરથી જુલતો પુલ તૂટી પડ્યો છે તે જગ્યાની ચારેક વખત મુલાકાત લેવામાં આવી છે અને એફએસએલની ટીમ દ્વારા જુદા જુદા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેમાં જે કેબલ વાયર ઉપર વર્ષોથી મોરબીનો ઐતિહાસિક કહી શકાય તેવો જુલતો પુલ લટકતો હતો તે જે જગ્યાએથી તૂટ્યો છે ત્યાંથી બે ફૂટના કેબલ વાયરના કટકાનું સેમ્પલ લેવામાં આવ્યું છે તેમજ જે જગ્યાએ સાજો કેબલ વાયર હતો ત્યાંથી પણ એક પાંચ ફૂટના કેબલ વાયરના કટકાનું સેમ્પલ લેવામાં આવ્યું છે આ બંને કેબલ વાયરના સેમ્પલનું પૃથકરણ કર્યા બાદ એફએસએલ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે અને હજુ પણ બીજા કોઈ મટીરીયલના સેમ્પલ લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે









