મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં નાહવા પડેલ યુવાન બે દિવસથી ગુમ, તપાસ ચાલુ
SHARE
મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં નાહવા પડેલ યુવાન બે દિવસથી ગુમ, તપાસ ચાલુ
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર સિરામીકના કારખાનાની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે પડેલ પરપ્રાંતીય મજુર યુવાન છેલ્લા બે દિવસથી કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયેલો હોય શોધખોળ કરવા છતાં પતો લાગ્યો નથી જેથી કરીને તેના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાવવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે તેમજ ફાયર વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ ઢુવા ચોકડીએ શિવાજી પેટ્રોલ પંપ પાસે રહેતા દિનેશચંદ્ર શ્રીરામભાઈ ગુર્જર (ઉમર ૪૦) એ મોરબી તાલુકા પોલીસમાં આવીને જાણ કરી હતી કે તેમનો પુત્ર અભિષેક દિનેશચંદ્ર ગુર્જર (ઉમર ૧૯) હાલ રહે. હિલસેરા સીરામીક લેબર કવાટર તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે. જેજારીપુર તા.બયાના જી.ભરતપુર રાજસ્થાન વાળો ગત તા.૨૧ ના બપોરના બે વાગ્યાના અરસામાં હિલસેરા સિરામીકના પાછળના ભાગેથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે પડ્યો હતો અને ત્યારબાદ કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને શોધ કરવા છતાં પણ તેનો કોઈ પતો લાગ્યો ન હતો જેથી હાલ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે પરંતુ છેલ્લા બે દિવસથી નર્મદાની કેનાલમાં નાહવા પડેલ અભિષેક દિનેશચંદ્ર ગુર્જર નામનો યુવાન લાપતા હોય તે અંગે હાલમાં નોંધ થતા તાલુકા પોલીસ મથકના જે.એમ. જાડેજા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબીના સીરામીક સિટીમાં રહેતા હસમુખભાઈ રામજીભાઈ પરમાર નામના ૨૬ વર્ષના યુવાને કુબેર ટોકીઝ નજીક ફિનાઈલ પી લેતા તેને આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યું હતું કે ધંધાના ટેન્શનમાં હસમુખભાઈએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું. જ્યારે મોરબીના શોભેશ્વર નજીક આવેલ શાંતિવન સોસાયટીમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા મહેશભાઈ હરખાભાઈ વાઘેલા નામના ૨૬ વર્ષના યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ થૈરોલી સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહેતા અભિષેક માંગીલાલ આહીરવાલ નામના ૨૧ વર્ષના મજૂરને યુનિટમાં કામ દરમિયાન કોઈની સાથે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચેલ હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બનાવા અંગે તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.