ટંકારાના હમીરપર પાસે રોલરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાનનું મોત
SHARE
ટંકારાના હમીરપર પાસે રોલરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાનનું મોત
ટંકારા તાલુકાના હમીરપર ગામેથી આગળના ભાગમાં આવેલ કારખાના પાસેથી રોલર પસાર થઈ રહ્યું હતું ત્યારે રોલરની પાછળના ભાગમાં યુવાનનું બાઇક અથડાયુ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને શરીરે ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલે ખસેડીને પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને રોલરના ચાલકની ફરિયાદ લઈ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા અસગરહુસેન ઉસ્માનમીયા અન્સારી જાતે મુસ્લિમ (ઉંમર ૪૨) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મીતાણાથી નેકનામ તરફ જતા રસ્તા ઉપર હમીરપર ગામ નજીક આવેલ રેક્ષવેલ કારખાનાની સામેથી તે રોલર નંબર જીજે ૧૬ ડીએસ ૨૪૧૦ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઈક નંબર એમપી ૪૬ એમએચ ૦૫૮૬ લઈને ભદુભાઇ રાજેલીયાભાઇ બંડેડીયા (ઉમર ૨૫) રહે.૭૨ ઇંદ્રસિહની ચોકી તાલુકો અલીરાજપુર (એમ.પી) વાળો આવ્યો હતો અને તેણે રોલરની પાછળના ભાગમાં તેનું બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં રોલરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
દ્વારકાના રહેવાસી સુરેશભાઈ પ્રજાપતિ નામના ૫૦ વર્ષના આધેડને મોરબી નજીક નેશનલ હાઈવે ઉપર અમરનગર ગામ જતા રસ્તે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોય ૧૦૮ વડે સુરેશભાઈ પ્રજાપતિને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાલપર ગામે રહેતા રાજેશ ઈશ્વરભાઈ કણજારીયા નામના ૪૧ વર્ષના યુવાન તથા તેની સાથેના બે અન્ય લોકોને એલિકા સીરામીકના માટી ખાતામાં લોડર ચાલકે હડફેટે લેતા પગના ભાગે ઇજાઓ થવાથી રાજેશ કણજારીયા સહિતનાઓને સારવાર માટે ખસેડાયા હતા તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે અને પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મારામારીમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં મકનસરના રહેવાસી સોનલબેન મુન્નાભાઈ મદ્રેસાણીયા (૩૦) અને રૂપલબેન ગિરધરભાઈ ધામેચા (૧૭) નામની બે મહિલાઓને ઇજાઓ પહોંચી હોય બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.