મોરબીમાં એપાર્ટમેન્ટના છઠા માળેથી પડતુ મુકતા યુવાનનું મોત, પોલીસ તપાસ શરૂ
SHARE
મોરબીમાં એપાર્ટમેન્ટના છઠા માળેથી પડતુ મુકતા યુવાનનું મોત, પોલીસ તપાસ શરૂ
મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ અમી પેલેસમાં રહીને ત્યાં ચોકીદારી કરતા અને મૂળ નેપાળના યુવાને આજે વહેલી સવારે એપાર્ટમેન્ટના છઠા માળેથી નીચે પડતુ મૂક્યું હતું.જેથી તેનું મોત નીપજયુ હતું અને બનાવને પગલે પોલીસે પહોંચીને તપાસ હાથ ધરતા માનસિક ડિપ્રેશનના લીધે નેપાળી યુવાને અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ હાઈવે ઉપર આવેલા અમી પેલેસમાં રહેતા ધીરૂભાઈ પરસોતમભાઈ રંગપરિયા (ઉમર ૪૫) એ ફોન કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી કે, તેઓના એપાર્ટમેન્ટની અંદર ચોકીદારી કરતા અને ત્યાં જ રહેતા મૂળ નેપાળના દલબહાદુર ઢોલેભાઈ પરીયાર જાતે નેપાળી (ઉંમર ૪૧) એ આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેઓના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પડતું મૂક્યું હતું અને જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજેલ છે.હાલ બનાવની જાણ થતા બીટ વિસ્તારના જમાદાર અશ્વિનભાઈ ઝાપડિયા અને રાઇટર કિશનભાઇ મોટાણી તેમજ ઇન્વે. અધિકારી હરેશભાઈ ચાવડા દ્વારા સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે દલબહાદુર પરીયાર નામના નેપાળી યુવાને વહેલી સવારે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પડતું મૂક્યું હતું.જેને પગલે તેનું મોત થયેલ છે.મૃતક તેની પત્ની સાથે અહીં રહીં ચોકીદારી કરતો હતો. મૃતકના પરિવારજનો સાથે પોલીસે પૂછપરછ કરતા થોડા સમય પહેલા પણ મૃતક દલબહાદુરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.માનસિક ડિપ્રેશનના લીધે તેણે આ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે.
વૃદ્ધા સારવારમાં
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા રૂક્ષ્મણીબેન દિલીપભાઈ ચંદ્રાશલા નામના ૫૯ વર્ષીય વૃદ્ધા પોતાના પતિના બાઈકના પાછળના ભાગે બેસીને કામ સબબ બહાર જતા હતા ત્યારે બગથળા ગામ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયુ હતુ અને તે બનાવમાં રૂક્ષ્મણીબેનને ઇજા પહોંચતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા મોરબી તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આ અકસ્માત બનાવની આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.
શનાળા અકસ્માત
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર ચાલકે બાઈકને હડફેટે લેતા સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ભાવેશ રમણીકભાઈ રાઠોડ (ઉમર ૪૫) રહે.પ્રધાનમંત્રી આવાસ ક્વાર્ટર દલવાડી સર્કલ કંડલા બાયપાસ વાળાને ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેને પગલે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.