મોરબીના પાનેલી ગામે જીઆઈડીસી માટે બોગસ માપણી સીટનો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ: બે રોડ, એક તળાવ અને ગામતળ ગાયબ !
SHARE
મોરબીના પાનેલી ગામે જીઆઈડીસી માટે બોગસ માપણી સીટનો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ: બે રોડ, એક તળાવ અને ગામતળ ગાયબ !
મોરબી નજીકના પાનેલી ગામ પાસે નવી જીઆઈડીસી મંજૂર કરવામાં આવેલ છે ત્યાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને આ નવી જીઆઈડીસી માટે બોગસ માપણી સીટ બનાવામાં આવી છે તેવો ગંભીર આક્ષેપ ગામના લોકોએ વાંધ સૂચન અધિકારીને સાંભળવા માટે લોકોને બોલાવ્યા હતા ત્યારે કરેલ છે અને આ જીઆઈડીસી બનાવવા માટે બે રોડ, એક તળાવ અને ગામતળ ગાયબ કરી નાખવામાં આવ્યું છે તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના રસ્તાને પણ બંધ કરી દેવામાં આવેલ છે તેવી પણ ગ્રામજનોએ અધિકારીને રજૂઆત કરેલ છે.
મોરબી તાલુકાનાં પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, પાનેલી ગામ પાસે નવી જીઆઇડીસી મંજૂર કરવામાં આવેલ છે અને તેના માટે તંત્ર દ્વારા પાનેલીની ૧૪૦ પૈકી ૨ અને જાબુંડીયાની ૧૪૬ પૈકીની જમીન આપવામાં આવી છે. જેના માટે બોગસ માપણી સીટ બનાવવામાં આવી છે અને તેમણે જણાવ્યુ છે કે, જીઆઈડીસી બનાવવા માટે બે રોડ, એક તળાવ અને ગામતળ ગાયબ કરી નાખવામાં આવ્યું છે અને નવી જીઆઈડીસી માટે બોગસ માપણી સીટ બનાવામાં આવી છે જેથી આ બાબતે તપાસ કરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી ડીઆઈએલઆર દ્વારા ટિપ્પણના વિરુદ્ધ માપણી સીટ તૈયાર કરવામાં આવેલ છે આટલું જ નહીં પરંતુ વરસાદી પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવેલ છે અને આ નવી જીઆઈડીસી માટે પાનેલી, જાબુંડીયા, શોભેશ્વર, ઘુટુ, લખધીરપુરના બે રાજાશાહી વખતના રસ્તાઓ માપણી સીટમાં દર્શાવ્યા જ નથી. આટલું જ નહીં નગી ખેતર જે કેટલ બ્રિડિંગ ફાર્મ માટે આપવામાં આવ્યા હતા. હવે તે નિગમ બંધ થઈ ગયુ છે અને હાલમાં જીઆઈડીસી વિસ્તારમાં આડેધડ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતના ખેતરમાં અને મકાનોમાં નુકશાન થાય છે માટે જે માપણી સીટ બનાવવામાં આવેલ છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ગામના લોકોએ કરેલ છે
વધુમાં ગૌતમભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પાનેલીનું ગામતળ ૧૯૯૩ માં મંજુર થયું હતું. તે પણ જીઆઇડીસીને આપી દેવામાં આવેલ છે અને ગામ નાનુમા નં.૧ અને ૬ માં જાબુંડિયાના પશુધનના ચારા માટે વીડીની જમીન હતી. તેને ખરાબો માપણી સીટમાં દર્શાવી દેવામાં આવેલ છે અને પાનેલીનું તળાવ બતાવેલ નથી અને જો તળાવ હોય તો નિયમ મુજબ ઉદ્યોગોએ ૧૦૦ મીટર ત્રીજીયા છોડવી પડે છે આ જગ્યા છોડવી ન પડે તે માટે તળાવમાં વેસ્ટેજ ઠાલવી શકાય તે માટે તળાવ જ માપણી સીટમાં દર્શાવ્યું નથી ત્યારે આ નવી જીઆઇડીસી સામે બન્ને ગામના લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારી આ ગામના લોકોને સાંભળીને આગામી સમયમાં સબંધિત વિભાગના અધિકારીને સ્થળ તપાસ માટે મોકલવામાં આવશે અને ત્યાર બાદ તેના અહેવાલ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકોને બાહેંધરી આપેલ છે