મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વિસ્તારના પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ
SHARE









મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વિસ્તારના પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજનાર છે.જે અન્વય જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેથી આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લા જે ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર જમા કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લા જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર ૧૧/૦૬/૨૦૨૫ સુધીમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. આ જાહેરનામુ ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટરમ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/ કર્મચારીઓને હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/ અર્ધસરકારી સંસ્થાઓ (બેંક કોર્પોરેશન સહિત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંક, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે,
વધુમાં તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દિવસ-૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે અને આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ જાહેરનામુ ૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર શસ્ત્ર અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે.

