મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંક મકાનમાં રેડ, પોસડોડાના જથ્થા સાથે આધેડ પકડાયા
SHARE








મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંક મકાનમાં રેડ, પોસડોડાના જથ્થા સાથે આધેડ પકડાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી જેના આધારે મોડી રાત્રિના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી.મકાનમાં રેડ કરવામાં આવતા ત્યાંથી પોસડોડાના જથ્થા સાથે એક ઇસમ મળી આવતા તેની સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો ? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફના વિજયભાઈ ગઢવી અને જયદીપભાઇ દેવસુરને મળેલ બાતમી આધારે ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી અને પીએસઆઇ જે.સી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા આજે તા.20-6 ના રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નંબર-3 માં રહેતા જેન્તીભાઈ ઉર્ફે જનકભાઈ માવજીભાઈ બોપલિયા પટેલ (50) ના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન ઘરની તલાસી લેવામાં આવતા મકાનમાંથી 4 કિલો 80 ગ્રામ જેટલો પોસડોડાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી રૂપિયા 12,240 નો નશાકારક પોસડોડાનો જથ્થો તથા તેના વેચાણના રોકડા રૂપિયા 9,500, રૂપિયા 2000 ની કિંમતનો મોબાઇલ, રૂપીયા 500 ની કિંમતનો વજન કાંટો તથા 80 રૂપિયાની કિંમતના પ્લાસ્ટીકના ઝબલા મળી કુલ રૂપીયા 24,240 ની રકમનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો અને સાથે જેન્તીભાઈ ઉર્ફે જનકભાઈ માવજીભાઈ બોપલિયા વિરુદ્ધ એનડીપીએસ તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.તેઓ આ પોસડોડાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા ? તે સહિતની દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઇજા
મોરબી પંચાસર રોડ ઉપર રહેતા સલીમભાઇ હાજીભાઇ સુમરા (40) ને શનાળા શકિત માતાના મંદિર પાસે મારામારીમાં ઇજા થતા સિવિલે લવાયા હતા.પોલીસના જણાવ્યા મુજબ અબુભાઇ સાથે ફોન ઉપર ઝગડો થયા બાદ ત્યાં બોલાવીને ઝપાઝપી કરવામાં આવેલ તેમાં સલીમભાઇને ઇજા થયેલ હતી.જયારે મોરબી જુના બસ સ્ટેશન પાસે બાઇકમાંથી નિચે પડી જતા રાજીબેન લાખાભાઇ ડાંગર (61) રહે.વેણાસર માળીયા મિં. ને સારવાર માટે અહીંની સાગર ઓર્થોપેડીક હોસ્પિટલે લઇ જવાયા હતા.તેમજ મોરબીની પંચાસર ચોકડી પાસે પતિના બાઇકની પાછળ બેસીને જતા સમયે બાઇકમાંથી પડી જતા મંજુલાબેન ગોવિંદભાઈ નકુમ (51) રહે.ભંડીયાની વાડી શનાળા રોડને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ અર્જુનનગર ગામે રહેતા અનિલભાઈ થોભણભાઈ નામના 25 વર્ષના યુવાનને તેના ઘરે સાપ કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસએ જણાવે છે.
યુવાન સારવારમાં
મોરબીના લીલાપર ગામે રહેતા દિનેશભાઈ લક્ષ્મણભાઈ લોરીયા નામના 33 વર્ષના યુવાનને લીલાપર ગામે મારામારીના બનાવમાં ધોકા વડે માથા અને મોઢાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલે લવાયેલ હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.મોરબી નવલખી રોડ ઉપર પીપળીયા ચોકડી પાસે રહેતા પ્રકાશભાઈ મોહનભાઈ નામના 25 વર્ષના યુવાનને સાપ કરડી જતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રહેતા તૌફિકભાઈ આદમભાઈ નામના 33 વર્ષના યુવાનને રફાળેશ્વર ચોકડી પાસે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો

