મોરબીમાં ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી કામગીરી કરવા સૂચન કરતાં મંત્રી
SHARE
મોરબીમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી
ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી કામગીરી કરવા સૂચન કરતાં મંત્રી
ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. તેમણે પીજીવીસીએલની વર્તુળ કચેરી કચેરી ખાતે મોરબી પીજીવીસીએલના અધિકારી, કર્મચારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ મોરબી વર્તુળ પીજીવીસીએલ કચેરીની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.મોરબી જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરી હતી અને કોઈપણ યોજનામાં ૧૦૦ ટકા સિદ્ધિએ અટકી નહીં જતા આગળ પણ વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પોલીસી બનાવ્યા પછી તેની અમલવારીમાં યોગ્ય ઝડપ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
મંત્રીએ ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી તે તરફ કામગીરી કરવા સૂચન કર્યું હતું.લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પીજીવીસીએલ તથા જેટકો વચ્ચે યોગ્ય કોડીનેશન રહે તે અનિવાર્ય છે તેવું જણાવી તેમણે કોન્ટ્રાક્ટરના કારણે સામાન્ય જનતાને કોઈપણ હાલાકી ન પડે તે પ્રકારનું માળખું ગોઠવવા તાકીદ કરી હતી.આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી, મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.આર.ઘાડીઆ તથા અન્ય અધિકારીઓ,કર્મચારીઓ, રાજકીય અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, નરેન્દ્રસિંહ ઝાલા તથા કે.એસ. અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.