મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા: ડબલ રૂપીયાનો દંડ
મોરબી: ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચ ઘટાડી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડતા ખેડૂતો
SHARE
મોરબી: ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચ ઘટાડી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડતા ખેડૂતો
પ્રાકૃતિક કૃષિ શું છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવતા પહેલા આપણે કુદરતની અજાયબી પર નજર કરીએ. જંગલના ઘટાદાર વૃક્ષોને કોઈ યુરિયા કે ડી.એ.પી. આપવા જતું નથી, કોઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરતું નથી કે નથી કોઈ પાઇપલાઇન દ્વારા પાણી પાતું. તેમ છતાં, વર્ષો વર્ષ આ વૃક્ષો મબલખ અને મીઠા ફળો આપે છે. લેબોરેટરી ટેસ્ટમાં પણ આ વનસ્પતિઓમાં ક્યારેય પોષક તત્વોની ઊણપ દેખાતી નથી. જંગલની આ સહજ અને સ્વાભાવિક વ્યવસ્થાને ખેતરમાં અમલી બનાવવી એટલે જ ‘પ્રાકૃતિક ખેતી’.
પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે. આ પાકો એકબીજાને પોષણ આપે છે. ખેડૂતનો મુખ્ય પાક લેવાનો ખર્ચ તો આ સહજીવી પાકની આવકમાંથી જ નીકળી જાય છે અને મુખ્ય પાક એક ‘બોનસ’ સમાન બની રહે છે. આ પદ્ધતિનો નારો છે: “ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં.” કારણ કે ખેતી માટે જરૂરી તમામ સંસાધનો ખેડૂતના ઘરે જ ઉપલબ્ધ હોય છે.
શું તમે જાણો છો કે આપણા પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો જ લે છે? બાકીના ૯૮% થી ૯૮.૫% તત્વો હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા કુદરતી રીતે મળે છે. વનસ્પતિનું લીલું પાન એ ખોરાક બનાવવાનું ‘કુદરતી કારખાનું’ છે. આ પાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ, જમીનમાંથી ભેજ અને આકાશમાંથી સૌર ઊર્જા મેળવીને ખોરાક તૈયાર કરે છે. જ્યારે કુદરત આ બધું મફતમાં આપે છે, ત્યારે મોંઘા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોની જરૂરિયાત જ ક્યાં રહે છે?
ઘણીવાર જમીનમાં પોષક તત્વો હોય છે પણ છોડ તેને ગ્રહણ કરી શકતો નથી. આનું કારણ જમીનના જૈવિક સ્વાસ્થ્યની ઊણપ છે. પ્રાકૃતિક ખેતી જમીનમાં ‘વાપ્સા’ અને ‘હ્યુમસ’નું નિર્માણ કરે છે. જમીનની નીચેની પ્રતમાં જમા થયેલા પોષક તત્વોને ઉપરની સપાટીએ લાવવાનું મહાન કાર્ય આપણા દેશી અળસિયાં કરે છે. આ અળસિયાઓ વિઘટન અને કેશાકર્ષણ શક્તિ દ્વારા પોષક તત્વોને ખેંચી લાવી મૂળને ઉપલબ્ધ કરાવવાનું કાર્ય કરી જમીનને જીવંત બનાવે છે.
પ્રાકૃતિક કૃષિ માટે સૌથી મહત્વનું તત્વ દેશી ગાયનું છાણ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, જે જમીનને ભોજન ઉપલબ્ધ કરાવે છે. એક ગાયનું એક દિવસનું છાણ એક એકર જમીનને એક મહિના માટે પોષણ આપવા સક્ષમ છે. એટલે કે, માત્ર એક ગાય દ્વારા ૩૦ એકર સુધીની ખેતીને એક મહિનામાં પોષણ પૂરું પાડી શકાય છે. આમ, પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પણ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો માર્ગ છે. ચાલો, રાસાયણિક મુક્ત ખેતી અપનાવીએ, જમીનનું સ્વાસ્થ્ય સુધારીએ અને પ્રકૃતિના સંવર્ધન સાથે ઉત્તમ અર્થોપાર્જન તરફ આગળ વધીએ.









