હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી
SHARE
હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી
ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓની અંદર ડીઝલની રામાયણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી મોરબી જિલ્લામાં અગાઉ ટ્રાન્સપોર્ટરોને તેના ટ્રક, ટ્રેલર સહિતના વાહનો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ મળતું ન હોવાની રાવ ઉઠી હતી અને આજે હળવદના સુંદરગઢ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપે રવિવારે વહેલી સવારથી ખેડૂતો દ્વારા ડીઝલ મેળવવા માટે થઈને પેટ્રોલ પંપ ઉપર કેરબાની લાઈનો લગાવવામાં આવી હતી તો પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી ત્યારે જો ખેડૂતોને ખેતી માટે ડીઝલ ન મળે તો ખેતી કેવી રીતે કરવી તેવો પ્રશ્ન ઉભો થયો છે.
મોરબી જિલ્લામાં સીરામિક સહિતના ઉદ્યોગો અને ખેતી મોટા પ્રમાણમાં છે ત્યારે ઉદ્યોગમાં કાચો માલ તથા તૈયાર માલને લાવવા લઈ જવા માટે ટ્રક, ડમ્પર, લોડર, ટ્રેલર સહિતનો વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે, તેમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો મળતો નથી તેવી ઘણા ટ્રાન્સ્પોર્ટરો દ્વારા અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી દરમિયાન રવિવારે સવારથી હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સાથે ઉનાળામાં જે રીતે પાણીના કેરબાની લાઈનો લાગતી હોય તે રીતે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મેળવવા માટે તેને ખેડૂતો દ્વારા લાઈનમાં લગાવવામાં આવી હતી અને કલાકો સુધી બેઠા પછી પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો પેટ્રોલ પંપ પરથી મળતો નથી
હાલમાં સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા માટે આવેલા ભરતભાઈ નામના ખેડૂત પાસેથી મળતી વિગતો પ્રમાણે તેઓએ પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કરવું હોય તેમજ ખેતી કામ કરવા માટે થઈને ટ્રેક્ટર, રોટાવેટર વગેરે ચલાવવા માટે થઈને તેઓને ડીઝલની જરૂર પડતી હોય છે પરંતુ પેટ્રોલ પંપ ઉપરથી પૂરતા પ્રમાણમાં ડીઝલ કરવામાં આપવામાં આવતુ નથી આવા સંજોગોમાં ખેડૂતો ખેતી કેવી રીતે કરશે તેવો સવાલ તેમણે સરકારને કર્યો હતો અને વહેલી તકે તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે તેવી માંગ કરી હતી
આવી જ રીતે આ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા માટે આવેલા ગોવિંદભાઈ નામના ખેડૂત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપના સંચાલક દ્વારા માત્ર 2,000 નું ડીઝલ તેઓને આપવામાં આવી રહ્યું છે અને તેનાથી ખેડૂતો પોતાના ખેતરની અંદર અડધો દિવસ પણ કામ કરી શકે નહીં ત્યારે માથે ચોમાસું આવીને ઊભું છે અને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ચોમાસુ પાક લેવા માટે વાવેતર કરવું હોય તેવા સમયે જો પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળે તો ખેડૂતો પોતાના ખેતરની અંદર કોઈપણ પ્રકારનું વાવેતર ન કરી શકે અને આખું વર્ષ નિષ્ફળ જાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.