મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
SHARE
મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માધાપર ખાતે આધુનિક શાક માર્કેટના નિર્માણ અને ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મોરબીના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી, માધાપર ખાતે એક સુવિધાયુક્ત નવું શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને LOI (Letter of Intent) સુપરત કરી દેવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં જ આ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવશે. આ માર્કેટ બનવાથી છૂટક વિક્રેતાઓને વ્યવસ્થિત જગ્યા મળશે અને સ્થાનિક રહીશોને ટ્રાફિકની ગીચતા વગર ખરીદીની સુવિધા પ્રાપ્ત થશે.
શહેરના હાર્દ સમાન ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની માલિકીની જૂની દુકાનોના નવસર્જન (Re-development) માટે પાલિકાએ સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રી-ડેવલપમેન્ટ પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા વર્ષો જૂની જર્જરિત મિલકતોને સ્થાને અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે, જેનાથી શહેરની શોભામાં વધારો થશે અને વેપારીઓને વધુ સારી વ્યવસાયિક તકો મળશે.