ભયાનક ટ્રેલર..!: મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની પોલખોલીને ૬૨૦ મૃતકોના પરિવારને સરકારી સહાય ચૂકવાઈ ?
SHARE
ભયાનક ટ્રેલર..!: મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની પોલખોલીને ૬૨૦ મૃતકોના પરિવારને સરકારી સહાય ચૂકવાઈ ?
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર કોરોનામાં મૃત્યુ પામેલા કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને હાલમાં સરકાર તરફથી સહાય ચૂકવવાની કામગીરી ચાલુ છે ત્યારે કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આંકડાકીય રમત કરીને મૃત્યુના આંકડાને ઓછો બતાવવામાં આવ્યો હતો તેનો ઉપરથી હાલમાં પડદો ઊંચકાઈ ગયો છે અને મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર આજની તારીખે પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનામાં કોરોના લીધે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા માત્ર ૮૭ બતાવવામાં આવે છે જોકે આજ દિવસ સુધીમાં મોરબી જિલ્લાની અંદર ૬૨૦ કરતાં વધુ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર તરફથી મળવાપાત્ર સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ તો હજુ ટ્રેલર છે અને પિક્ચર હજુ બાકી છે તેવું જીલ્લામાં ચર્ચાઈ રહ્યું છે
મોરબી જિલ્લાની અંદર કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન ઘણા લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને જે તે સમયે સ્મશાનની અંદર જે મૃતકોના મૃતદેહોનો નિકાલ કરવામાં આવતો હતો તેના આંકડા અને સરકારી વિભાગ તરફથી જે કોરોનામાં દર્દીઓના મૃત્યુ થયા હોય તેનો આંકડો આપવામાં આવતો હતો તેમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળતી હતી જેથી કરીને અવારનવાર સાંજ સમાચારના માધ્યમ થકી તે આંકડાને ઉજાગર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જે આંકડાકીય માહિતી આપવામાં આવતી હતી તે અધૂરી તેમજ આંકડાકીય વિસંગતતા ઊભી થાય તેવી હતી અને તે જ આંકડાકીય માહિતી આજની તારીખે પણ આપવામાં આવે છે જોકે આરોગ્ય વિભાગ દ્વારા જે કોરોના દર્દીના મૃત્યુના આંકડા છુપાવવા માટે થઈને આંકડાકીય રમત કરવામાં આવી હતી તેના ઉપરથી મોરબી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પડદો હાલમાં ઊંચકાઈ ગયો છે
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર કોરોના કાળમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ થયા હોય તેમને સરકાર તરફથી મળવાપાત્ર ૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની છે તેનું ચુકવણું કરવામાં આવી રહયું છે ત્યારે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કાળ દરમિયાન કોરોનાના લીધે મૃત્યુ પામેલા દર્દીઓનો આજની તારીખે પણ માત્ર ૮૭ નો આંકડો દર્શાવવામાં આવી રહ્યા છે અને તે મૃતક પૈકી ૬૬ લોકોને કોરોનાની સહાય ચૂકવવામાં આવી છે અને બાકીના દર્દીઓની સહાય તેના પરિવારજનોને ચૂકવવા માટેની કામગીરી ચાલી રહી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારી ચોપડે માત્ર ૮૭ લોકોને કોરોના દરમિયાન મૃત્યુ થયા હોવાનું દર્શાવવામાં આવે છે અને બીજી બાજુ મોરબી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૬૨૦ કરતાં વધુ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકારી સહાય ચૂકવવામાં આવેલ છે
અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોનાની બીજી લહેર દરમિયાન મોટા પ્રમાણમાં લોકોના કોરોનાની સારવાર દરમિયાન કોરોનાગ્રસ્ત હતા ત્યારે મૃત્યુ નિપજયા હતા અને સમશાનમાં લાશોનો નિકાલ કરવા માટે પણ વાઈકિંગ હતું જોકે કોઈને કોઈ કારણોસર આ મૃત્યુને કોરોનાના મૃત્યુમા ન દર્શાવીને આંકડાકીય રમત કરવામાં આવી હતી પરંતુ આજની તારીખે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી લગભગ ૧૦૨૦ કરતાં વધુ અરજી કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો દ્વારા સરકાર તરફથી મળતી સહાય મેળવવા માટે કરવામાં આવી છે અને આ ૧૦૨૦ અરજીમાંથી આજ દિવસ સુધીમાં ૬૨૦ લોકોને સરકાર તરફથી ચૂકવવાની થતી સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાની અંદર કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુના આંકડાને નીચા બતાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જે મેલી રમત રમવામાં આવી હતી તેનું પેપર હાલમાં મોરબી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જ ફોડી નાખવામાં આવ્યું હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે અને આજ દિવસ સુધીમાં ૬૨૦ લોકો કે જેને કોરોના પોઝિટિવ હતો અને તેની સારવાર ચાલુ હતી ત્યારે સારવાર દરમિયાન તેઓના મૃત્યુ થયા હતા તેઓના પરિવારજનોને સરકારી ૫૦ હજારની સહાય ચુકવવામાં આવી છે અને હજુ આ તો મોરબી જિલ્લા માટે ટ્રેલર હોવાની માહિતી સામે આવી રહી છે અને આગામી સમયમાં કોરોનાની સારવાર દરમિયાન જે કોઈ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ નિપજયા હતા તેનો આંકડો હજુ પણ મોટો સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે









