સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહા પંચાયત, અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે
SHARE
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનનો આજે 16 મો દિવસ છે અને તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય ખેડૂતોની માંગણીઓ અમે જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા મહા પંચાયત માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ આમરણાંત ઉપવાસ આંદોલનને 16 દિવસ છે ત્યારે મોરબી જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે અને રોજ હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ સહિતના લોકો ઉપવાસી છાવણીની મુલાકાતે આવતા હોય છે અગાઉ જે જગ્યા ઉપર ઉપવાસી છાવણી હતી તે જ જગ્યા ઉપર હવે ચોમાસુ અને વરસાદને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ ડોમ ઉભો કરવામાં આવ્યો છે અને વરસાદ આવે તો પણ આંદોલન ચાલુ રહે તે પ્રકારની લડી લેવા માટેની વ્યવસ્થા આંદોલનકારીઓ દ્વારા કરી લેવામાં આવી છે
આજે માળિયા તાલુકાના છ ગામના ખેડૂતો બાઇક રેલી સાથે સવારે ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા તેવી જ રીતે માળિયાના સરવડ ગામેથી ખેડૂતો ટ્રેક્ટર સાથે ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું ખાસ કરીને જે રીતે ખેડૂતો ઉપર અગાઉ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું અને હાલમાં ખેડૂતો 16 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોની જે 6 માંગણી છે તે મુદ્દે શું કરવા ઈચ્છે છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, સરકારે વળતર માટેની કોઈ નવી નીતિ જાહેર કરી નથી જેથી દિવસેને દિવસે ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે.
હાલમાં આંદોલન સમિતિના વૈભવ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે હરિયાણાથી ખેડૂત આગેવાન ગુરુનામસિંહ ચઢુની જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે આવવાના છે અને હવે જો સરકાર દ્વારા નજીકના દિવસોમાં આ ખેડૂત આંદોલનને લઈને ખેડૂતોની વીજપોલના વળતર માટેની જે માંગણીઓ છે તેના માટે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂત મહા પંચાયત બોલાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને આ ખેડૂત મહા પંચાયતમાં ન માત્ર ગુજરાતના જિલ્લાઓમાંથી પરંતુ ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી









