મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત
SHARE
મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત
નવનિયુક્ત તલાટીઓ મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગ્રામ્ય પ્રશાસનનો ચહેરો છે; નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિવારણ લાવવા મુખ્યમંત્રી અને કલેક્ટરનું આહવાન,ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયું
ગુજરાત સરકારની સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયાના ભાગરૂપે મહેસૂલ વિભાગ અંતર્ગત નવનિયુક્ત તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ મોરબી જિલ્લા મથકે યોજાયો હતો. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં મોરબી જિલ્લાના કુલ ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરી જિલ્લા વહીવટી તંત્રમાં આવકારવામાં આવ્યા હતા.
મોરબી ખાતેનો આ મુખ્ય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા ૨૩૦૦ થી વધુ યુવાઓના રાજ્યકક્ષાના નિમણૂક પત્ર વિતરણ સમારોહ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંકળાયેલો હતો.જેમાં મોરબીના વહીવટી અધિકારીઓ અને નવયુવાન કર્મયોગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મુખ્યમંત્રીશ્રીનું પ્રેરણાદાયી ઉદ્બોધન અને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.ગાંધીનગર ખાતેથી નવનિયુક્ત કર્મયોગીઓને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ તલાટીને સમગ્ર મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગામડાના વહીવટનો મજબૂત આધારસ્તંભ ગણાવ્યા હતા. ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓનો સ્થાનિક સ્તરે જ સંતોષકારક નિકાલ લાવી તલાટીઓને મુખ્ય સેવા દાયિત્વ નિભાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આ સકારાત્મક અભિગમને મોરબી જિલ્લામાં વેગ આપતા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તમામ ૫૩ નવનિયુક્ત તલાટીઓને મોરબી જિલ્લા પ્રશાસનમાં જોડાવા બદલ વિશેષ માર્ગદર્શન પૂરું પાડી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આ નવી નિમણૂકો થવાથી ખાલી જગ્યાઓ ભરાતા વહીવટી ક્ષમતા બમણી થશે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારી સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને ઝડપી રીતે પહોંચશે.કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, નવી નિયુક્તિ પામેલા કર્મયોગીઓની મેરિટ આધારિત પસંદગી એ તંત્રની પારદર્શિતા દર્શાવે છે. ગામડાનો સામાન્ય માણસ અને ખેડૂત જ્યારે પોતાની નાની-મોટી જરૂરિયાતો માટે આવે ત્યારે તેના પાયાના અધિકારો અને જમીન દસ્તાવેજોની કામગીરીમાં તલાટીની સહી અને વર્તન જ આખી સરકારની છબી નક્કી કરે છે. આથી, મોરબી જિલ્લાના તમામ નવનિયુક્ત કર્મચારીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સેવાભાવ સાથે નાગરિકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે તેવા અભિગમ સાથે કામગીરી કરવા સૌને કલેક્ટરએ પ્રેરણા પૂરી પાડી હતી.