ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાના 24 દિવસ પછી તપાસ ઠેરની ઠેર: બીજા કોઈ આરોપી કેમ ન પકડાયા લોકોમાં ચર્ચા
SHARE
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાના 24 દિવસ પછી તપાસ ઠેરની ઠેર: બીજા કોઈ આરોપી કેમ ન પકડાયા લોકોમાં ચર્ચા
મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો તે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટ પણ આકરું વલણ અપનાવી રહી છે અને હાઇકોર્ટમાં હાલમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી ચાલી રહી છે જોકે આ ઘટના સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને નોંધાયેલ ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે પકડાયેલા નવ આરોપી પછી છેલ્લા 24 દિવસમાં તપાસ ઠેરની ઠેર હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને બીજા કોઈ આરોપી કેમ પકડાયા નથી તેની ચર્ચા હાલમાં મોરબી પંથકમાં થઈ રહી છે
મોરબીમાં મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઝુલતો પુલ છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા હસ્તાક હતો અને નગરપાલિકાની માલિકી હતી જોકે વર્ષ 2007માં પ્રથમ વખત આનો કરાર કરીને દસ વર્ષ માટે અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપને તેનું સંચાલન સોંપવામાં આવ્યું હતું અને તે સમયગાળો પૂરો થયા બાદ લાંબા સમય સુધી કરારને રીન્યુ કરવામાં આવ્યો ન હતો અને અન્ય કોઈ એજન્સી અથવા તો કંપનીને કામ આપવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા પણ પાલિકા દ્વારા કરવામાં આવી ન હતી જેની નોંધ છેલ્લા દિવસો દરમિયાન હાઇકોર્ટમાં કરવામાં આવેલ સુનવણી દરમિયાન હાઇકોર્ટના ચીફ જસ્ટીસે પણ ગંભીર રીતે લીધી હતી અને પાલિકાના જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપને જે કરાર કરી આપવામાં આવ્યો છે તેને લઈને પાલિકાની જવાબદારી શું ? તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો જેનો જવાબ હજુ આવ્યો નથી અને બીજા પણ અનેક સવાલો છે કે જેના જવાબ આજની તારીખે વણ ઉકેલાયા છે જેથી કરીને સમગ્ર ભારતને નહીં પરંતુ અન્ય દેશમાં પણ લોકોને હચમચાવી નાખનારી ઘટનામાં ક્યાંક ને ક્યાંક નાની માછલીઓને પકડીને મોટા મગરમચ્છોને છાવરવા માટેનો ઘાટ ઘડવામાં આવતો હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગત તારીખ 30 ના સાંજના છ વાગ્યે મોરબીનો ઝુલતો પુલ લોકો ત્યાં હરવા ફરવા માટે આવ્યા હતા ત્યારે તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર બાળકો મહિલાઓ વૃદ્ધો સહિતના જે લોકો હતા તે ઝુલતા પુલના કાટમાળની સાથે જ નીચે નદીના પટમાં પડ્યા હતા અને નદીના પટમાં ભરેલ ગટરના ગંદા દૂષિત પાણીની અંદર રીબાઇ રીબાઈને અનેક લોકોના મોત નિપજ્યા હતા અને સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ બાળકો સહિત કુલ મળીને આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમને જે તે સમયે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાની ગણતરી ની કલાકો બાદ જ જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા જે નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યુ હતુ તેના આધારે જ હાઇકોર્ટમાં પાલિકા દ્વારા એફિડેવીટ પણ રજુ કરવામાં આવ્યું છે પરંતુ અહીં સવાલ ઉભો થાય છે કે જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ તુરત જ રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોરબી સુધી દોડી આવ્યા હતા અને તપાસમાં કોઈ કચાસ છોડવામાં નહીં આવે તેવું પણ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું પરંતુ અફસોસ ની વાત એ છે કે આજે આ ઘટનાના 24 દિવસ પછી પણ તપાસ ઠેરની ઠેર હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઝુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ સંભાળનાર એજન્સી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જોકે ત્યારબાદ આ ગુનામાં મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ સંભાળનાર એજન્સીના કર્મચારીઓની અને મુખ્ય કર્તાહર્તા ની ધરપકડો કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને તેની જામીન અરજી મૂકવામાં આવી હતી જે જામીન અરજીને પણ મોરબી ડિસ્ટ્રિક્ટ દ્વારા રદ કરવામાં આવી છે પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે નગરપાલિકા સાથે જુલતાપુલ માટે જે એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે તે પાલિકાના ચીફ ઓફિસર અને ઓરેવા ગ્રુપના સુપ્રિમોની સહી સાથે કરવામાં આવ્યો છે તેમ છતાં પણ આ બંને લોકોના ફરિયાદમાં કોઈ જગ્યાએ નામ નથી અને માત્ર કર્મચારીઓને પકડીને કામગીરી થયાનો સંતોષ અધિકારીઓ માનતા હોય તેવું દેખાઈ રહ્યું છે હાલમાં મોરબીના લોકોમાં થતી ચર્ચા મુજબ જુલતોપુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 24 દિવસ બાદ પણ મુખ્ય આરોપી કોણ ? કોની બેદરકારીના કારણે દુર્ઘટના બની ? આવા અનેક સવાલો વણ ઉકેલાયા છે અને તપાસ ઠેરની ઠેર હોય તેવું મોરબીના લોકોને લાગી રહ્યું છે જોકે હાલમાં જે હાઇકોર્ટ ની અંદર સુઓ મોટોની સુનાવણી ચાલી રહી છે તેને લઈને હાઇકોર્ટ દ્વારા નોંધપાત્રો ચુકાદો આપવામાં આવશે તેવી આશા અને અપેક્ષાઓ મોરબીવાસીઓ રાખી રહ્યા છે.