મોરબીમાં બાળકીની હત્યાના કેસમાં મહિલા આરોપીને આજીવન કેદની સજા
SHARE
મોરબીમાં બાળકીની હત્યાના કેસમાં મહિલા આરોપીને આજીવન કેદની સજા
મોરબીમાં બે વર્ષની માસૂમ બાળકીને તેના પિતાએ જ પ્રેમિકાને સોપી હતી અને તે પ્રેમિકા દ્વારા બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો.તેમાં મહિલા આરોપીને જિલ્લા સરકારી વકીલની દલીલ અને આધાર પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
મોરબીમાં તા 2/3/19 ના રોજ સુરતના રહેવાસી રીનાબેન ધવલભાઈ ત્રિવેદી નામની મહિલાએ તેના પતિ ધવલભાઈ માધવલાલ ત્રિવેદી, ધવલની પ્રેમિકા રસ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાલા, ફરિયાદીના જેઠ સંજયભાઈ ત્રિવેદી અને સસરા માધવલાલ ત્રિવેદી સામે ફરિયાદ કરી હતી જેમાં ફરિયાદીના પતિ ધવલ ત્રિવેદીએ તેની પ્રેમિકા રસ્મીબેન સાથે બે વર્ષની દીકરી યસ્વીને ભગાડી લઇ જઈને રશ્મિબેને યસ્વીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જેની ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે તપાસ કરી હતી જેમાં આરોપી ધવલભાઈ હત્યા સમયે પોતાની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર અને તેના ભાઈ સંજયભાઇ અને પિતા માધવલાલ બંને અમદાવાદ સોલા હાઈકોર્ટ ખાતે હાજર હોવાનું સામે આવ્યું હતું.
જેથી પોલીસે મહિલા આરોપી રશ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાલા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ ૩૦ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજુ કર્યા હતા અને બચાવ પક્ષે એક દસ્તાવેજી પુરાવો રજુ થયો હતો જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રસ્મીબેન દિવ્યેશભાઈને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો છે અને દંડ ન ભરે તો વધુ 60 દિવસની સજા ફટકારી છે.