મોરબી નજીક માર્ગ અકસ્માતમાં ઇજા પામેલા એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીનું મોત
મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે જયદીપ કંપનીના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ ઓફિસ બિલ્ડીંગનું સંતો-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ
SHARE
મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે જયદીપ કંપનીના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ ઓફિસ બિલ્ડીંગનું સંતો-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ
મોરબીના લીલાપર રોડે આવેલ શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે જયદીપ એન્ડ કંપની વવાણીયા-મોરબી દ્વારા વિધુત સ્મશાન ઓફિસ બિલ્ડીંગ બનાવી આપવામાં આવેલ છે જેનું રામનવમીના દિવસે સંતોમહંતો અને ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબીના લીલાપર રોડ ઉપર છેલ્લા 21 વર્ષથી વિદ્યુત અને ગેસ આધારીત સ્મશાન કાર્યરત છે અને આ સ્મશાન ગૃહ વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર છે. અહી શૂન્ય પ્રદુષણ, પર્યાવરણનું જતનના શુભઆશય અને અબોલ પશુ-પક્ષીઓની પ્રસંશનીય સેવાએ સંસ્થાનું ધ્યેય છે. ત્યારે મોરબીમાં દરેક સમાજના લોકોને મદદરૂપ થતાં જયદીપ એન્ડ કંપની વવાણીયા-મોરબી દ્વારા વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે દાતા સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા (વવાણીયા વાળા) ના નામથી તેઓના દીકરા જયુભા ઉદયસિંહજી જાડેજા, દિલુભા ઉદયસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહ ઉદયસિંહજી જાડેજા અને અશ્વિનસિંહ ઉદયસિંહજી જાડેજા અને તેઓના પરિવાર દ્વારા ઓફિસ બિલ્ડીંગ બનાવી આપવામાં આવેલ છે જેનું રામનવમીના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સંતો દામજી ભગત (નકલંક મંદિર-બગથળા), ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ-મહેન્દ્રનગર), હંસાગીરી માતાજી (ગીરનારી આશ્રમ) તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા અને દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઇ રાજકોટીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, બેચારભાઈ હોથી, વેલજીભાઇ ઉઘરેજા, કરશનભાઇ આદ્રોજા, પ્રદીપભાઇ વાળા, ચંદુભાઈ હુંબલ, જયંતિભાઈ પટેલ, ભરતભાઇ કારીઆ, મનહરસિંહ જાડેજા, જ્યોતિસિંહ જાડેજા, ઇન્દુભા જાડેજા, ગિરીશભાઈ ઘેલાનીમ હર્ષભઈ કંઝારીયા, દિલીપભાઇ ભાલોડીયા, લાખાભાઇ જારીયા, રિશિપભાઇ કૈલા, વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, અરવિંદભાઇ વસાદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
વર્ષ 2001 માં મોરબી શહેરના સેવાભાવી આગેવાનો દ્વારા શ્રી શાંતીધામ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ પર્યાવરણની રક્ષા માટે માનવદેહના અંતિમ સંસ્કાર માટે ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવાનો હતો.જે હાલમાં ગેસ આધારિત કાર્યવંત છે.જે તે સમયે મોરબી નગરપાલિકા દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રી શાંતીધામ ચેરીટેબલ ટ્રસ્ટને જમીનની ફાળવણી લીલાપર રોડ ઉપર કરવામાં આવી હતી. ફાળવવામાં આવેલ જમીન ઉપર એક અધ્યતન ઇલેક્ટ્રિક સ્મશાનનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું તેની સાથે માનવદેહના અંતિમ સંસ્કાર આપ્યા બાદ સ્નેહીજનો-પરિવારના સભ્યો પ્રભુ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ આપી શકે તેવો હોલ બનાવવામાં આવ્યો હતો.
સમયના નિરંતર વહેતા પ્રવાહમાં ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલ બિલ્ડીંગ માં બીજી ભઠી ની જરૂરીયાત થતા બીજી ભઠી પણ બનાવવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા અંતિમયાત્રા માટે બસ-મોક્ષરથ પણ દાતાઓના દાનથી વસાવવામાં આવેલ છે. આ ઉપરાંત અતિમ યાત્રામાં આવેલા સ્નેહીજનો દ્વારા ઉદાર હાથે મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના સાથે દાન પણ આપતા હોય છે. આ દાનની આવકમાંથી પ્રતિદિન કુતરાઓને 10 કિલો લોટની રોટલી બનાવી અને આપવામાં આવે છે. દરરોજ 20 કિલો ચણ પક્ષીઓને સ્મશાનની છત ઉપર નાખવામાં આવે છે તથા મોરબી ગ્રીન ચોકમાં ગ્રીન હોટેલ ઉપર રોજ સવારે વર્ષો થયા હજારો પોપટ શીંગદાણા ચણવા આવે છે. તેને માટે દર મહીને 100 કિલો શીંગદાણાનો ચણ નાખવામાં આવે છે.
આ સ્મશાનમાં છેલ્લા 22 વર્ષમાં 9700 થી વધુ મૃતદેહોને અવ્વલ મંજલે વિધીવત પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે જેથી આજ સુધી અંદાજે 10 લાખ કિલો લાકડાનો બચાવ કરી પર્યાવરણ ક્ષેત્રે સરાહનીય કાર્ય કર્યું છે. ત્યારે સેવાકીય કામ અને દાનમાં મોખરેનું સ્થાન ધરાવતા મૂળ વવાણીયાના રહેવાસી અને હાલ મોરબીમાં રહેતા સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા જયદીપ પરિવાર દ્વારા સ્મશાન ખાતે ઓફીસ બિલ્ડીંગ બનાવી આપવામાં આવેલ છે. જેથી કરીને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા દાતા જયુભા જાડેજા તથા દિલુભા જાડેજાનું સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું
વધુમાં ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ દફતરીએ કહ્યું હતું કે, રામનવમીના દિવસે મોરબી પાંજરાપોળ, યદુનંદન ગૌશાળા, શ્રી ગીરનારી આશ્રમ ગૌશાળા, નકલંક મંદિર ગૌશાળા-બગથળા, રામધન આશ્રમ ગૌ શાળા-જોડિયા અને ખાખરેચી પાંજરાપોળ એમ છ ગૌ શાળાને ગાયના ઘાસચારા માટે 51-51 હજાર જીવદયામાં વાપરવામાં આવશે. અને શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અનેકવિધ સેવાકીય કામ કરવામાં આવે છે ત્યારે લોકો દાન આપે તેના માટે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દાન માટેની અપીલ કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ અને આહીર સમાજના આગેવાન લાખાભાઇ જારીયા દ્વારા ટ્રસ્ટમાં 5.55 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને તે ઉપરાંત અન્ય દાતાઓએ પણ દાન આપેલ હતું અને અંતે ચંદ્રકાંતભાઈ દફતરીએ જાડેજા પરિવાર તેમજ કાર્યક્રમમાં આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.