મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર
મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
SHARE
મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
મોરબી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતના હસ્તે પ્રદર્શન અને વેચાણ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ કર્યું હતું. ત્યાર બાદ લોકોને સંબોધતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતે જણાવ્યું હતું કે, મિલેટ્સ એ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનઃ જાગરણનો આ ઉત્સવ છે. વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને લીધે આજે ‘શ્રી અન્ન’ વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં મિલેટ્સનું યોગદાન નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે તેવું તેમણે જણાવ્યુ છે.
વધુમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી મહોત્સવએ કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવાનું મજબૂત પ્લેટફોર્મ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતી મૂકીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જેથી રાજ્યમાં ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ સ્થિતિ મિલેટ્સમાંથી બનતી અનેક સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જીવામૃતના ઉપયોગ, પેકેજિંગ અને સરકારી યોજનાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ તકે મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડીડીઓ નવલદાન ગઢવી, ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, ડેપ્યુટી ડીડીઓ શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના હાજર રહ્યા હતા. અને અંતમાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીએ આભારવિધિ કરી હતી.