મોરબીના કુબેરનાથ મંદિરના પૂજારીના બંધ મકાનમાંથી રોકડ-દાગીના ચોરનાર યાસીન પઠાણની ધરપકડ
SHARE
મોરબીના કુબેરનાથ મંદિરના પૂજારીના બંધ મકાનમાંથી રોકડ-દાગીના ચોરનાર યાસીન પઠાણની ધરપકડ
મોરબીના ગ્રીનચોક નજીક આવેલી દફતરી શેરીમાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવીને તસ્કર રૂા.૪૯ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાઓ અને રોકડ રકમની ચોરી કરી ગયેલ હોય ભોગ બનેલા કુબેરનાથ મહાદેવ મંદિરના પૂજારીએ નોંધાવેલ ફરીયાદના આધારે કડી પોલીસે પકડેલ આરોપીનો કબ્જો લઈને મોરબી પોલીસે અટકાયત કરી હતી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રીનચોકની પાસે આવેલી દફ્તરી શેરીમાં રહેતા અને પુજાનો વારો હોય તે મકાન બંધ કરીને છેલ્લા કેટલાક દિવસથી ગ્રીનચોક પાસેની જ શેરીમાં આવેલા કુબેરનાથ મહાદેવ મંદિરે રહીને સેવાપૂજા કરતા ધિમલગીરી હર્ષદગીરી ગોસાઇ બાવાજી (ઉમર ૩૨) એ અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવતા જણાવેલ કે તેઓ કુબેરનાથ મહાદેવ મંદિરમાં રહેતા હોવાથી તેમનું દફ્તરી શેરીમાં આવેલ મકાન બંધ હતુ અને બાદમાં જાણ થઇ હતી કે અજાણ્યા તસ્કરે તેમના મકાનને નિશાન બનાવીને રૂા.૩૮,૫૦૦ ની કિંમતના સોમા-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂા.૧૦,૫૦૦ એમ કુલ મળીને રૂા.૪૯,૦૦૦ ની ચોરી કરી ગયેલ છે.તે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાનમાં મહેસાણાના કડી પોલીસે એક તસ્કરની ધરપકડ કરી હતી અને ત્યાં કડી ખાતે તેણે મોરબીની ચોરી કબુલી હોય મોરબી પોલીસને જાણ કરાતાં મોરબી એ ડિવિજન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.રાણાએ કડી ખાતેથી યાસીન ઉર્ફે ટાઈગર કાલેખાન પઠાણ (૩૦) રહે.કડી જી.મહેસાણાની કબ્જો મેળવીને ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના મકનસર ગામે રહેતો રવિ દિનેશભાઈ નંદેસરીયા નામનો ૨૦ વર્ષીય યુવાન કામ ઉપરથી ઘરે પરત આવતો હતો.ત્યારે રસ્તામાં પ્રેમજીનગર ગામના પાટિયા નજીક તેના બાઇક આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઈજાગ્રસ્ત રવિ નંદેસરીયાને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નાની વાવડી ગામે રહેતો મેહુલ પ્રવીણભાઈ સીણોજીયા નામનો ૨૫ વર્ષીય યુવાન ભૂલથી ડેટોલયુક્ત પાણી પી જતાં તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. તેમજ મોરબીના રફાળેશ્વર ગામ તરફથી દરિયાલાલ હોટલ તરફ આવતા સમયે બાઈક સ્લીપ થઈ જવાથી અમરશીભાઈ ખીમજીભાઈ પાટડીયા નામના ૬૩ વર્ષીય વૃદ્ધને ઇજાઓ થતાં સારવારમાં લઇ જવાયા હતા.