મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર: શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું
SHARE
મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર: શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું
મોરબી જીલ્લામા ચૂંટણીને ધ્યાન લઈને જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે ત્યારે જીલ્લામાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઇ તેના માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે એટલે કે તા.૨૪/૦૪/૨૦૨૬ ના રોજ સાંજના ૬ કલાકથી મતદાનના દિવસ સુધી સમગ્ર જિલ્લામાં ચૂંટણી પ્રચાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ, નિયત સમયમર્યાદા બાદ કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત જાહેર સભા બોલાવી શકશે નહીં, સંબોધી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં. વધુમાં, ટેલિવિઝન, એલ.ઈ.ડી. સ્ક્રીન અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા જાહેરમાં ચૂંટણી લક્ષી સામગ્રી પ્રદર્શિત કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. મતદારોને આકર્ષવા માટે સંગીત જલસા, મનોરંજન કાર્યક્રમો, સમૂહભોજન કે અન્ય કોઈપણ જાહેર મેળાવડા યોજીને પ્રચાર કરવાની પ્રવૃત્તિઓ પર ચુસ્ત પ્રતિબંધ રહેશે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાનના અંતિમ કલાકોમાં મતદારોને પ્રભાવિત કરતા અટકાવવાનો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવવાનો છે. આ પ્રતિબંધાત્મક હુકમ તા. ૨૪/૦૪/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.