ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક
SHARE
ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક
ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી તેવામાં આ કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે રાજકોટના વકીલ ભગીરથસિંહ ડોડીયાની નિમણુક કરવામાં આવી છે.
ટંકારના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (48)એ થોડા સમય પહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની સામે હત્યાની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓની વાડીની બાજુમાં મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ છે અને તેઓની વાડીએ જમીન માપણી કરવા માટે કર્મચારીઓ આવ્યા હતા અને માપણી પૂરી કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓને સ્થળ ઉપર બોલાવેલ હતા ત્યારે તેઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને જમીન માપણી બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના દીકરા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (22)ને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને તે બંનેની હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી દરમ્યાન આ કેસમાં ફરિયાદી દ્વારા સરકારમાં સ્પેશ્યલ પીપી મૂકવાની માંગણી કરાઇ હતી જેથી સરકાર દ્વારા આ કેસ ચલાવવા માટે રાજકોટના વકીલ ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પીપી તરીકે નિમણુક કરવામાં આવી છે