વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી
SHARE
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી
વાંકાનેર ખાતે અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તેમજ નાગરિકો નિર્ભય બની ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે માટે વાંકાનેર પોલીસ તંત્રે આગોતરા આયોજન સાથે પ્રસંશનીય કામગીરી હાથ ધરી હતી.
જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાના નેતૃત્વમાં સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ મથકે ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ખુલ્લો સંવાદ યોજાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ધાર્મિક લાગણીઓનું સન્માન થાય અને કોઈપણ અફવા કે ગેરસમજને સ્થાન ન મળે તે માટે સૌએ સંયુકત રીતે સહયોગ આપવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.આ તકે સાંજે 6 વાગ્યે ડીવાયએસપી સમીર સારડાના નેતૃત્વમાં વિશ્ર્વાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.વી. પટેલ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પ્રો.પોલીસ ઈન્સ. પી.આર. સોલંકી, મોરબી એલસીબીના પીઆઈ એસ.પી. જાડેજા, મોરબી એસઓજીના પીઆઈ આર.સી. ગોહિલ, પાંચ પીઆઈ, દસ પીએસઆઈ, તાલુકા અને સીટી પોલીસની ટીમો, એલસીબી, એસઓજી તેમજ જીઆરડીના જવાનો સહિતનો વિશાળ પોલીસ કાફલો જોડાયો હતો.
વિશ્વાસ યાત્રા ગ્રીન ચોક, પુલ દરવાજા, જકાતનાકા સહિત શહેરના મુખ્ય તેમજ સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. પોલીસ અધિકારીઓએ વેપારીઓ, સ્થાનિક નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.સમગ્ર માર્ગ દરમિયાન પોલીસની અસરકારક ઉપસ્થિતિએ નાગરીકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવી હતી. વાંકાનેર પોલીસની આ કામગીરી માત્ર બંદોબસ્ત પૂરતી મર્યાદીત રહી નહોતી. પરંતુ જનતા સાથે વિશ્વાસ , સંવાદ દ્વારા સુરક્ષાના અભિગમને સાકાર કરતી કામગીરી રીતે સામે આવી હતી.શાંતિ સમિતિની બેઠક દ્વારા સમાજના વિવિધ વર્ગોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ અને ત્યારબાદ વિશ્વાસ યાત્રા દ્વારા મેદાનમાં પોલીસની સક્રિય હાજરી એ આધુનિક અને જનકેન્દ્રીત પોલીસીંગનું ઉતમ ઉદાહરણ બની રહ્યું છે