મોરબીમાં ઝઘડો થયા બાદ યુવાને જાતે પોતાના હાથ ઉપર છરી મારતા સારવારમાં
SHARE
મોરબીમાં ઝઘડો થયા બાદ યુવાને જાતે પોતાના હાથ ઉપર છરી મારતા સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર રામદેવપીર મંદિર પાસે ઝઘડો થયો હતો અને તે બનાવમાં યુવાને પોતાની જાતે પોતાના ડાબા હાથ ઉપર છરીના ઘા મારતા તેને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા રામદેવપીરના મંદિર પાસે રહેતા અતુલભાઇ ખેરસિંગભાઇ કિશોરીયા (ઉમર ૨૪) નામના યુવાનને રામદેવપીર મંદિર પાસે ઝઘડો થયો હતો અને તે ઝઘડા દરમિયાનમાં કોઇ કારણોસર તેણે પોતે જાતે જ પોતાના ડાબા હાથના ભાગે છરી વડે બે ઘા માર્યા હતા.આ બનાવમાં અતુલને ઇજાઓ પહોંચવાથી ઇજાગ્રસ્ત થયેલા અતુલને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને તે અંગે હોસ્પિટલમાંથી યાદી આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.
ઝેરી દવા પી જતા સારવારમાં
જામનગરના જોડિયા તાલુકામાં આવેલા પીઠડ ગામે રહેતા અને મજૂરી કામ કરતા બહકરભાઈ ધનસિંગભાઈ બામણીયા નામનો ૪૦ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને બેભાન હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલો છે.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકે બનાવની જાણ કરવામાં આવતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.
તેમજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગીયાવદર ગામે રહેતા શામજીભાઈ વાલજીભાઈ મકવાણા નામના ૪૨ વર્ષના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોએ જણાવ્યું છે અને આ બાબતે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છે.