મોરબીમાં રવાપર રોડ થયેલ લૂંટના ગુનામાં પોલીસે બંન્ને આરોપીઓની કરી ધરપકડ
મોરબીમાં ઉછીના લીધેલ પૈસાના ટેન્સનમાં એસીડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીમાં ઉછીના લીધેલ પૈસાના ટેન્સનમાં એસીડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા પૈસાના ટેન્શનમાં આવી જઈને એસિડ પી લીધું હતું જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના વીશીપરાની પાસે આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ ઉર્ફે દીપક મનસુખભાઇ ચૌહાણ નામના ૨૪ વર્ષીય યુવાને એસિડ પી લીધુ હતુ જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રમેશે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા કોઇ ઇસમ પાસેથી પૈસા લીધેલા હોય અને તે પરત દેવાના થતા હોય સામેના વ્યક્તિ તરફથી ધમકીઓ આપવામાં આવતી હોવાના લીધે તેણે ટેન્શનમાં આવી જઈને ઉપરોકત પગલું ભરી લીધું હતું. હાલમાં બનાવ સંદર્ભે બીટ જમાદાર વી.ડી.મેતાએ તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વીશીપરામાં જ આવેલા કુલીનગર વિસ્તારમાં રહેતા દિલીપ દલપતભાઈ ધામેર નામના ૩૦ વર્ષીય યુવાને ગત તા.૪ ના રોજ સાંજના સાતેક વાગ્યે કોઈ કારણોસર એગ્રીકલ્ચર સુનામી નામની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જે બનાવ અંગે પણ વિસ્તારના જમાદાર વશરમભાઇ મેતા તપાસ ચલાવી રહ્યા છે.
યુવાન સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા રામદેવપીરના મંદિર પાસે રહેતા તુલસીભાઈ રણછોડભાઈ પરમાર નામના ૨૫ વર્ષીય યુવાનને તેના રહેણાક વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના લીલાપર ગામે રહેતા હિનાબેન મહેશભાઈ અગેચાણીયા નામની ૨૮ વર્ષીય મહિલાને લીલાપર રોડ ઉપર આવેલ સિંચાઈ વિભાગની ઓફિસ નજીક ઝેરી જનાવર કરડી જતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વેલજીભાઈ ભવાનભાઈ પટેલ નામના ૬૨ વર્ષીય વૃદ્ધ ગામમાંથી પોતાની વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજાગ્રસ્ત થયેલા વેલજીભાઈ પટેલને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગર શેરી નંબર-૨ માં રહેતા જયપાલસિંહ રાઠોડના બાર વર્ષીય દીકરા કરણસિંહને સામાકાંઠે સમર્પણ હોસ્પીટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હોવાનું પોલીસે જણાવેલ છે.