મોરબી જિલ્લામાં ડેમ-પોર્ટ સહિતના વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદની લાઇનમાંથી લીધેલ ગેરકાયદે કનેક્શન કટ કરાતા માળિયા તાલુકાના 40 ગામોમાંથી ઉઠ્યો પાણીનો પોકાર
SHARE








મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદની લાઇનમાંથી લીધેલ ગેરકાયદે કનેક્શન કટ કરાતા માળિયા તાલુકાના 40 ગામોમાંથી ઉઠ્યો પાણીનો પોકાર
સામાન્ય રીતે ચોમાસા પછી પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જતો હોય છે અને લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું હોય છે પરંતુ વાત કરીએ મોરબી જિલ્લાના માળિયા તાલુકાની તો એક બે નહીં પરંતુ 40 થી વધુ ગામની અંદર આજની તારીખે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે અને લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી જેથી કરીને આ બાબતે મોરબી અને વાંકાનેરના ધારાસભ્યની હાજરીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મોરબી કલેક્ટર કચેરી ખાતે મીટીંગ મળી હતી જેમાં નર્મદાના કનેક્શન કાપવામાં આવ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેવી ફરિયાદ કરી હતી ત્યારે અધિકારીઓએ ટેન્કરથી પાણી આપવાની હાસ્યાસ્પદ વાત કરી હતી જેથી કરીને ટેન્કરથી 40 જેટલા ગામોમાં પાણી કેવી રીતે આપશે અને કેટલા ટેન્કર દોડાવશો તેવો સવાલ સરપંચોએ કર્યો હતો.
મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદાની લાઈન મારફતે જામનગર અને દ્વારકા સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પાઇપ લાઇન મારફતે મોકલવામાં આવતા પાણીમાંથી કનેક્શન અપાવીને જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને એક બે નહીં પરંતુ છેલ્લા 12 વર્ષથી માળીયા અને મોરબી તાલુકા વિસ્તારની અંદર આ નર્મદાની લાઈનમાંથી પાણી મેળવીને લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને છેલ્લા દિવસોથી જામનગર અને દ્વારકા તરફ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો પહોંચતો ન હોવાથી જીડબલ્યુઆઈએલ ની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર ચેકિંગ કરીને ગેરકાયદેસર લેવામાં આવેલા કનેક્શન કાપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી અને માળિયા તાલુકાના કેટલા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પીવાનું પાણી આપવા માટે જે કનેક્શન લેવામાં આવ્યા હતા તે કનેક્શનનો પણ કાપી નાખવામાં આવ્યા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
હાલમાં લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પીપળીયા અને મોટાભેલા સંપ હેઠળ આવતા ખેવારીયા, ખાખરાળા, લુંટાવદર, પીપળીયા, ભાવપર, નાનાભેલા, મોટાભેલા, તરઘરી, વવાણીયા તેમજ વેણાસર, ખાખરેચી, ઘાટીલા, લક્ષ્મીવાસ, ચમનપર, વર્ષામેડી તેમજ શહેરની 40 જેટલી સોસાયટીઓમાં નર્મદાની આ લાઈનમાંથી કનેક્શન મેળવીને પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જોકે અધિકારીઓ દ્વારા તે કનેક્શન કટ કરી નાખવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને સોસાયટી વિસ્તારમાં પણ હવે પાણીના પ્રશ્નો ઊઠવા લાગ્યા છે આ બાબતે મોરબી માળિયાના ધારાસભ્ય સુધી ફરિયાદ પહોંચતા તેઓએ કલેક્ટરને જાણ કરી હતી જેથી કલેકટરના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જીતુભાઈ સોમાણીની હાજરીમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના સરપંચોને સાથે રાખીને પાણી પુરવઠા અને જીડબલ્યુઆઈએલ ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી
આ બેઠકમાં પાણી પુરવઠા અને જી ડબલ્યુએલઆઇના અધિકારીઓ જણાવ્યું હતું કે એનસી-7 માંથી વર્ષોથી પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યા હોવાના કારણે પૂરતા પ્રમાણમાં છેવાડા સુધી પાણી પહોંચતું નથી જોકે પાણી છેવાડાના વિસ્તાર સુધી પહોંચે તે માટે થઈને છેલ્લા દિવસોમાં 32 જેટલા ગેરકાયદેસર કનેક્શન પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કટ કરવામાં આવેલ છે જેથી કરીને કેટલાક ગામોમાં પાણીનો પ્રશ્ન ઊભો થયેલ છે ત્યાં પાણીના ટેન્કર મારફતે પાણી આપવાની હાસ્યાસ્પદ વાત અધિકારી મિટિંગમાં કરી હતી કેમ કે, એકાદ બે ગામ કે એકાદ બે વિસ્તારની અંદર જો પાણીનો પ્રશ્ન હોય તો ટેન્કર દોડાવીને લોકોને પાણી પૂરું પહોંચાડી શકાય પરંતુ અહીં તો એક બે નહીં પરંતુ 40 થી વધુ ગામડાઓની અંદર લોકોને પીવાના પાણીનો પ્રશ્ન છે જેથી અધિકારીઓ દ્વારા ટેન્કર દોડાવાની વાતો કરવાના બદલે પાઇપલાઇન મારફતે લોકોના ગામ સુધી વ્યવસ્થિત રીતે પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી ગામના સરપંચો આગેવાનોએ વ્યક્ત કરી હતી

