મોરબી-વાંકાનેર હાઇવે ઉપર પગપાળા જતા યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત
SHARE
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર પગપાળા જતા યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત
મોરબીના જાંબુડીયા ગામે રહેતો યુવાન પગપાળા વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીકથી જતો હતો ત્યાં તેને કોઈ અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામનો રહેવાસી મનોજ ગોરધનભાઈ ડઢાણીયા જાતે કોળી નામનો ૨૮ વર્ષીય યુવાન ગત તા.૨૪-૧૨ ના સવારે આઠેક વાગ્યે વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર નજીકથી પગપાળા જતો હતો ત્યાં તેને કોઈ અજાણ્યા બાઇક ચાલક કે અન્ય વાહન ચાલકે હડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે મનોજને મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો જયાં સારવાર આપ્યા બાદ રાબેતા મુજબ તેને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તા.૨૭-૧૨ ના રોજ વહેલી સવારના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મનોજ ગોરધનભાઈ ડઢાણીયા નામના કોળી યુવાનનું મોત નીપજયું હતું. રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશનેથી તપાસ અંગેના કાગળો આવતા હાલ બી ડિવિઝન પોલીસે ઉપરોકત બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે બીટ જમાદાર જે.એમ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે તેઓએ અકસ્માત સર્જીને ભાગી છુટેલા વાહનચાલકને શોધવા માટે શક્તિ ચેમ્બર નજીકના સીસીટીવી કેમેરાઓ ચકાસવાનું શરૂ કર્યું છે.
મારામારીમાં ઇજા
મોરબી નજીકના નાની વાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા કાંતિભાઈ પુંજાભાઈ મકવાણા નામનો ૩૫ વર્ષીય યુવાન તેના ઘર નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે રીતે મોરબીના વજેપર વાડી વિસ્તારમાં રહેતા અંબાબેન વાલજીભાઈ ડાભી નામના ૬૦ વર્ષિય વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં શનાળા રોડ સમયના ગેટ પાસે ઇજાઓ થવાથી અંબાબેન ડાભીને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સગીરાઓ સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ આનંદનગર વિસ્તારમાંથી રહેતી અંજલીબેન કિશોરભાઈ ડાભી નામની ૧૪ વર્ષિય બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા પોલીસે તપાસ કરતાં ખુલ્યુ હતું કે સગીરાના માતા-પિતા અન્ય સાથે રહેતા હોય તેના મૂળ પિતા કિશોરભાઇએ તેણીને પોતાની સાથે આવવાનું કહેતા તે બાબતે ડરી જવાથી અંજલીબેન ડાભીને સારવાર માટે ખસેડવામાં આવી હતી..! જ્યારે મોરબીના શનાળા પાસે આવેલ લાયન્સનગર નજીકના ગોકુલનગરમાં રહેતી રીંકલબેન વિનુભાઈ વાઘેલા દેવિપુજક નામની ૧૪ વર્ષીય સગીરાને પણ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને તપાસમાં ખૂલ્યું હતું કે રીંકલબેનના પિતાનું થોડા સમય પહેલા અવસાન થયું હોય અને માતાએ અન્ય જગ્યાએ ઘર માંડયુ હોય હાલ રીંકલબેન સહિતની પાંચ બહેનો તેના કાકાને ત્યાં રહેતી હોય કાકા દ્વારા તેણીને કોઈ બાબતે ઠપકો આપવામાં આવતાં ડરી જતા તેણીને પણ સારવાર માટે લાવવામાં આવી હતી..!