ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ
SHARE
ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા જે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું તેને પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ આંદોલનતથી મનોજ પનારાને દૂર રાખવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મનોજ પનારા જે ગૌશાળામાં પ્રમુખ છે તે ગૌશાળાને હાલમાં ગામના સરપંચ દ્વારા નોટીસ આપવામાં આવી છે જેથી ગાયોના નામે મત લઈને સરકારમાં આવેલા તમામ લોકોને પડકાર ફેંકતા મનોજ પનારાએ હાલમાં સોશ્યલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરેલ છે જેમાં તેઓએ કહ્યું છે કે, “સરકારમાં દમ હોય તો મને નગર દરવાજાના ચોકમાં ગોળી મારી દે પણ ગાયોને હેરાન ન કરો” અને મારા લીધે ગાયો હેરાન ન થાય તે માટે ટ્રસ્ટનાં પ્રમુખ પદેથી મે રાજીનામું આપી દીધેલ છે. તેવું મનોજ પનારાએ જણાવ્યુ છે.
મોરબી તાલુકાનાં ધૂળકોટ અને ખાનપર ગામની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ગૌશાળા આવેલ છે અને આ ગૌશાળાના ટ્રસ્ટનાં પ્રમુખ મનોજ પનારા છે દરમ્યાન અરવિંદભાઇ પરષોતમભાઈ પટેલ દ્વારા તા 1/7/26 ના રોજ ગૌશાળા ગૌચરની જમીન ઉપર હોવાની અરજી કરવામાં આવી હતી જેથી કરી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાજેતરમાં મેલડી ધામ ગૌશાળાના સંચાલક વશરામભઈ લીંબભાઈ પટેલને નોટિસ આપવામાં આવેલ છે અને આગામી તા 14/7/26 સુધીમાં ગૌચરની જમીન ખુલ્લી કરીને લેખિતમાં તેની પંચાયતને જાણ કરવા માટે કહેવામા આવ્યું છે અને જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો પછી ગમે ત્યારે ગુજરાત પંચાયત ધારો 1993 કલમ 105 અન્વયે ગમે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે
આ નોટિસનો જવાબ આપતા ગૌશાળાના ટ્રસ્ટનાં પ્રમુખ મનોજ પનારાએ એક વિડીયો સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો જેમાં જણાવ્યુ છે કે, જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેનાથી મને દૂર રાખવા માટે ધૂળકોટ ગામે આવેલ મેલડી ધામ ગૌશાળાને નોટીસ આપવામાં આવી છે અને ગૌચરની જમીન ઉપરથી દબાણ દૂર કરવા માટે કહેવામા આવ્યું છે જો કે, આ ટ્રસ્ટનો હું પ્રમુખ છે એટલા માટે મને દબાવા અને ધમકાવવા માટે આ નોટિસ આપવામાં આવેલ છે. પરંતુ ગૌશાળા ટ્રસ્ટનાં પ્રમુખ પદ તેમજ તમામ હોદા ઉપરથી તેઓ રાજીનામું મૂકી દીધેલ છે અને તેની કોપી ચેરીટી કમિશ્નરને મોકલવી દેવામાં આવેલ છે
વધુમાં મનોજ પનારાએ કહ્યું હતું કે તેઓ ખેડૂત આંદોલનનો હિસ્સો હતા, છે અને રહેશે અને સરકારને 4 ગણુ વળતર આપવું પડશે અને નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. જો કે, હાલમાં ગૌશાળાને આપવામાં આવેલ નોટિસએ સરકારનું ષડ્યંત્ર છે અને પાટીદાર આંદોલન વખતે મારા ઉપર 16 થી વધુ કેસ કરી ચૂક્યા છો તેમ છતાં પણ મને અટકાવી શક્ય ન હતા ત્યારે હવે મેલડી ધામ ગૌશાળા કે જેમાં 300 ગાયોનો નિભાવ કરવામાં આવે છે તેને ટાર્ગેટ કરવામાં આવેલ છે. પરંતુ ગાયોને હેરાન કરવાને બદલે તમારામાં દમ હોય તો મને નગર દરવાજાના ચોકમાં ઊભો રાખીને ગોળી ધરબી દો, ખોટા કેસ કરી નાખો, જેલમાં ધકેલી દો મને કોઈ વાંધો નથી પરંતુ ગાયોને હેરાન કરવાનું બંધ કરી દો હું ગાયોની રક્ષા માટે ટ્રસ્ટના પ્રમુખ પદ ઉપરથી સ્વયંભૂ રાજીનામુ આપી દઉં છું અને ભાજપના કોઈ મોટા નેતાને ગૌશાળા ટ્રસ્ટનાં પ્રમુખ બનાવી દો જેથી ગૌશાળા બચી જશે જો કે, સરકાર બદલાશે ત્યાર બાદ એક એક અધિકારી અને નેતાનો હિસાબ કરવામાં આવશે.