માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા
મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો
SHARE
મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના હૉલ ખાતે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તથા પંકજકુમાર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી વિવિધ સમસ્યાઓ, ઈ-વે બિલ (e-way bill)ને લગતી મુશ્કેલીઓ તથા જીએસટી સંબંધિત અન્ય અનેક મુદ્દાઓ અંગે અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. આ ચર્ચાએ ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોના ઉકેલ તરફ માર્ગ મોકળો કર્યો હતો.
આ સેમિનારમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા તથા પૂર્વ પ્રમુખ નિલેષ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિત એસો.ના અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ અન્ય એસો.ના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
સેમિનાર દરમિયાન ઉદ્યોગકારો તરફથી સિરામિક ટાઈલ્સ પરના જીએસટી દરને ૫ ટકા સુધી ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ માંગને લઈને અધિકારીઓને વિગતવાર માહિતી આપવામાં આવી અને ઉદ્યોગના હિતમાં તેના પર વિચારણા કરવાની વિનંતી કરી હતી. આ સેમિનાર ઉદ્યોગ અને સરકાર વચ્ચે સંવાદનું મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે, જેનાથી ઉદ્યોગકારોને જીએસટી નિયમોની વધુ સારી સમજ મળી છે અને આવનારા સમયમાં વધુ સરળતાથી કામગીરી કરી શકાશે.