માળીયા (મી)માં આધેડ ઉપર આડેધડ ફાયરિંગ કરીને હત્યા કરવાના બનાવમાં ભાજપના શહેર પ્રમુખ સહિત 6 સામે ફરિયાદ
SHARE
માળીયા (મી)માં આધેડ ઉપર આડેધડ ફાયરિંગ કરીને હત્યા કરવાના બનાવમાં ભાજપના શહેર પ્રમુખ સહિત 6 સામે ફરિયાદ
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ સાંજના સમયે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી ગંભીર રીતે ઈજા પામેલા આધેડનું મોત નીપજયું હતું અને તેના બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના પત્નીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માળીયા તાલુકા ભાજપના પ્રમુખ અને તેના ભાઈ સહિત કુલ 6 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, હુમલો, મારામારી વગેરે જેવી ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે દરમિયાન ગઇકાલે માળિયા શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમારભાઈ મોવર (51) નામના આધેડ સોમવારે સાંજે સાડા સાત વગાએ પોતે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે કાર લઈને સફીર મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યાર બાદ હૈદરભાઈ ઉપર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી તેઓને છરા લાગ્યા હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઇને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા જેથી તેઓના બોડીને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા.
આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે તથા હોસ્પિટલે પહોચી હતી અને મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું . વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર દ્વારા અંદાજે દોઢ વર્ષ પહેલા સફિરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે જૂની અદાવતનો ખાર રાખીને આ ઘટના બની હોવાની માહિતી પોલીસને મળી હતી .
હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની સાઇનાબેન હૈદરભાઈ મોવરએ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માળીયા શહેર ભાજપના પ્રમુખ ઇલિયાસ મુસાભાઇ મોવર અને સફીર મુસાભાઈ મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીના પતિ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી ઇલિયાસ અને સફીર સાથે ધંધા બાબતે મનદુખ ચાલતું હતું અને તે બાબતનો ખાર રાખીને ઇલિયાસના કહેવાથી સફીર અને અન્ય ચાર અજાણ્યા શખ્સો ફરિયાદીના પતિની હત્યા કરવાનું કાવતરું રચીને સફીર સહિતના ચાર શખ્સો સ્વિફ્ટ ગાડીમાં આવ્યા હતા અને ત્યારે સફીરે બંદૂક જેવા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું જેથી ફરિયાદીના પતિ હૈદરભાઈને માથા, ગળા, છાતીના અને પેટના ભાગે છરા લાગવાથી ગંભીર ઈજા થઈ હતી અને તેઓને મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા જો કે ફરિયાદીના પતિનું મોત નીપજયું હોય હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.