મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી
SHARE
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા આમ કુલ મળીને સ્થાનિક સ્વરાજની 255 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટેની ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ત્યારે 255 બેઠક પૈકીની 231 બેઠક માટે ભાજપમાંથી કુલ મળીને 1,007 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં વિજેતા બની શકે તેવા પાણીદાર ઉમેદવારોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે તેના જ ભાગરૂપે મોરબીમાં બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આમ ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રથમ બે દિવસમાં મોરબી જિલ્લા પંચાયત, જિલ્લાની પાંચ તાલુકા પંચાયત, ટંકારા, માળીયા અને વાંકાનેર આમ ત્રણ નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ મળીને 203 બેઠક માટે સેન્સ લેવામાં આવી હતી જોકે, માળિયા નગરપાલિકાની 24 બેઠકો માટે સેન્સ આપવા માટે ભાજપમાંથી કોઈપણ આગેવાન કમલમ કાર્યાલય ખાતે આવ્યા ન હતા એટલે 179 બેઠક માટે સેન્સ લેવામાં આવી હતી જેના માટે કુલ મળીને 580 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી.
જો કે, છેલ્લા દિવસે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી અને તેમાં 52 બેઠકો માટે કુલ મળીને 427 આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે આમ મોરબી જિલ્લાની કુલ મળીને 255 બેઠકો પૈકીની માળીયા પાલિકાની 24 બેઠક માટે ભાજપમાંથી કોઈએ ટિકિટની માંગણી કરેલી નથી જો કે, બાકીની 231 બેઠકો માટે 1007 જેટલા આગેવાનો દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી છે જેથી આ આગેવાનોમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપી તે પ્રશ્ન જિલ્લાના આગેવાનોથી લઈને પ્રદેશના આગેવાનો સુધીના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે