મોરબીના સરતાનપર રોડ ઉપર બે બાઈક અથડાતા યુવાનનું મોત
SHARE
મોરબીના સરતાનપર રોડ ઉપર બે બાઈક અથડાતા યુવાનનું મોત
મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં મુળ મધ્યપ્રદેશના યુવાનનું વાહન અકસ્માતમાં મોત નીપજયું હતું. યુવાન તેના અન્ય મિત્રની સાથે બીજા એક રાજસ્થાની મિત્રને મુકવા માટે બાઈકમાં ગયો હતો.દરમિયાન રાજસ્થાની મિત્રને મૂકીને તેઓ ડબલ સવારીમાં પરત આવતા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને અન્ય બાઇક ચાલકે સામેથી હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાઓ થવાથી મુળ મધ્યપ્રદેશના મજૂર યુવાનનું મોત નિપજતા પત્ની અને ત્રણ સંતાનો નોંધારા બની ગયા છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક નજીક ગત તા.૨૭-૧૨ ના વહેલી સવારે દોઢેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મોટરસાયકલ નંબર જીજે ૩ બીએલ ૮૫૪૦ ના ચાલકે સામેથી આવતા ડબલ સવારી બાઇકને હડફેટે લેતાં એક યુવાનને સામાન્ય ઇજાઓ થઇ હતી જ્યારે અન્ય એક યુવાન પપ્પુસિંહ કેશરસિંહ વર્મા જાતે માલવી (ઉમર ૩૫) મૂળ રહે.મધ્યપ્રદેશ હાલ રહે.રીચ સીરામીક સામે સરતાનપર રોડ તા.વાંકાનેર (મોરબી) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતુ.
બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે મૃતક પપ્પુસિંહ વર્મા પોતાના મિત્ર દિલીપકુમારની વેનીચંદ્રજી ગર્ગ (૨૮) રહે. લીઝોરા સિરામિક સરતાનપર રોડ વાંકાનેર ની સાથે તેઓના અન્ય એક રાજસ્થાની મિત્રને બાઈક લઇને મુકવા માટે ગયો હતો અને બાઇકમાં રાજસ્થાની મિત્રને મુકીને આવ્યા બાદ દિલીપકુમાર અને મૃતક પપ્પુસિંહ વર્મા બાઈકમાં ઘર તરફ પરત આવી રહ્યા હતા ત્યારે સરતાનપર રોડ મોટો સિરામીકની પાસે મોટરસાયકલ નંબર જીજે ૩ બીએલ ૮૫૪૦ ના ચાલકે તેનું બાઇક ઓવર સ્પીડમાં ગફલતભરી રીતે હંકારી તેઓના બાઈક સાથે અથડાવતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે પપ્પુસિંહ કેસરસિંહ વર્મા નામના મુળ મધ્યપ્રદેશના મજૂર યુવાનનું મોત થયેલ હતુ.હાલ ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવ સંદર્ભે મૃતકના મિત્ર દિલીપકુમાર વેણીચંદ્રજી ગર્ગ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા બાઇક નંબર જીજે ૩ બીએલ ૮૫૪૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધીને તાલુકા પીએસઆઇ ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.
દવા પી લેતા સારવારમાં
મોરબીના નગર દરવાજા પાસે રહેતા અક્રમશા ભીખુશા શાહમદાર નામના ૨૫ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ અકળ કારણોસર કોઈ દવા પી લેતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે સારવાર આપ્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓએ જાણ કરતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ બનાવના કારણે અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારાના સજનપર (ઘુનડા) ગામે રહેતો અર્જુન બાલુભાઇ બામણીયા નામનો ૧૮ વર્ષીય યુવાન મોરબીના શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ પાસેથી રિક્ષામાં બેસીને જતો હતો તે દરમ્યાનમાં તે રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત અર્જુન બામણીયાને અત્રેની શુભ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.