મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ
SHARE
મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ
મોરબી મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જુદાજુદા વિસ્તારમાં ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં 40 જેટલા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અમુક સ્થળેથી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ અમુક વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી.
મોરબી મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમ્યાન નવલખી રોડ પર આવેલ પશુપતિનાથ ચાઇનીઝમાંથી વાસી નૂડલ્સ, ફૂડ કલરનો નાશ કર્યો હતો અને સ્થળ પર અનહાઈજેનીક સ્થિતિ જોવા મળી હતી તેમજ ફૂડ લાયસન્સ ન હોવાથી પેઢીને ગ્રીન નોટીસ આપવામાં આવી હતી. જયારે રવાપર ચોકડીએ ગુરુજી ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને ફૂડ કલર મળી આવતા સ્થળ પર તેનો નાશ કર્યો હતો અને સાઈઝ ઝીરો કેફેમાં એક્સપાયરી ડેટ વગરના પાઉં અને પીઝા બેઝ મળી આવ્યા હતા જેનો પણ નાશ કર્યો હતો. તેમજ ચેતના સ્વીટ એન્ડ નમકીનમાંથી એક્સપાયરી ડેટ વગરના નમકીનના ફૂડ પેકેટ મળી આવતા તેનો પણ ફૂડ વિભાગની ટીમે નાશ કર્યો હતો. અને આવી જ કામગીરી આગમી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે.