મોરબી: ખાનપરના વતની ક્રિશ ભીમાણી એ નીટમાં જ્વલંત સિદ્ધિ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું
મોરબીના ધુળકોટ ગામે ખેતરના સેઢે માટી નાખવા બાબતે સામસામે મારામારીમાં ત્રણને ઈજા : સામસામે ફરિયાદો નોંધાવાતા તપાસ શરૂ
SHARE
મોરબીના ધુળકોટ ગામે ખેતરના સેઢે માટી નાખવા બાબતે સામસામે મારામારીમાં ત્રણને ઈજા : સામસામે ફરિયાદો નોંધાવાતા તપાસ શરૂ
મોરબી તાલુકાના ધુળકોટ ગામે તા.૬ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો.ખેતરના સેઢે માટી નાખવા બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી થયા બાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.બાદમાં પોલીસમાં જાણ થતા બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા મારામારી અને એસ્ટ્રોસિટીની કલમો હેઠળ પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવ્યા છે અને સામસામે ફરિયાદો નોંધીને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે તા.૬-૬ ના રોજ મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ઇજા પામતા મુળીબેન મનજીભાઈ વાઘેલા (૬૭) રહે.ધુળકોટ (આમરણ) તા.મોરબી તેમજ સામેના પક્ષના રવજીભાઈ જીવાભાઈ ચોટલીયા (૮૫) અને રાકેશ મનસુખભાઈ ચોટલીયા (૩૫) રહે.ધુળકોટ વાળાઓને અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી તાલુકા પોલીસ મથકમાં આ મારામારીના બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા તથા પીએસઆઇ એસ.એન.સગારકા સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને નિવેદનો નોંધવાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં બંને પક્ષોએથી મારામારી થયેલ હોય સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી.જેમાં રાકેશભાઈ મનસુખભાઈ ચોટલીયા જાતે કુંભાર (ઉમર ૩૫) રહે.ધુળકોટ એ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે દિનેશ મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા અને મુળીબેન મનજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતું કે, તેઓએ ભાગમાં ખેતર વાવવા રાખેલ હોય અને તેઓની જગ્યામાં માટીનો ઢગલો કરવામાં આવેલ હોય કેમ અમારા ભાગમાં માટીનો ઢગલો કર્યો છે..? તેમ સામે વાળાઓને પૂછ્યું હતું તે બાબતનો રોષ રાખીને તેમને તથા સાહેદ રવજી જીવાભાઇ ચોટલીયાને સામેના ત્રણેય ઇસમો દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને રવજીભાઈને હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.તેમજ મુળીબેન વાઘેલાએ સાહેદ હંસાબેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.હાલ આ બાબતે રાકેશભાઈ ચોટલીયાની ઉપરોકત ફરિયાદ ઉપરથી દિનેશ વાઘેલા, નટુ વાઘેલા અને મુળીબેન વાઘેલા સામે આઇપીસી કલમ ૩૨૫, ૩૧૩, ૫૦૪, ૫૦૬(૨) સહિતની કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે. જેની તપાસ પીએસઆઇ એસ.એન.સગારકા ચલાવી રહ્યા છે.
જ્યારે સામેના પક્ષેથી મુળીબેન મનજીભાઈ વાઘેલા (૬૭) રહે.ધુળકોટ (આમરણ) તા.જી.મોરબી એ રાકેશ મનસુખભાઈ ચોટલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેઓએ સામેવાળા રાકેશ ચોટલીયાને કહ્યું હતું કે અમારા ખેતરમાં જવાનો રસ્તો કેમ બંધ કર્યો છે..? આટલું કહેતાની સાથે જ ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો અને બાદમાં જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી ગાળો આપવામાં આવી હતી અને બાદમાં લાકડી વડે તેઓને માર મારવામાં આવ્યો હતો.હાલ આ બાબતે મારામારી તથા એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધાતા એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા આ બાબતે ગુનો નોંધીને આ અંગે આગળની તજવીજ શરૂ કરી છે.