મોરબીના ગાળા ગામ નજીક કન્વેન્યર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત
SHARE
મોરબીના ગાળા ગામ નજીક કન્વેન્યર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા ગાળા ગામ પાસે કારખાનામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કન્વેન્યર બેલ્ટની અંદર આવી જવાથી શરીરે ગંભીર ઇજાઓ થતા મજૂર યુવાનનું મોત થયેલ છે. બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા ગાળા ગામ નજીકના સોલોરેક્ષ ટાઈલ્સ નામના કારખાનામાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો બિનુભાઈ મુનસિંગ (ઉંમર ૩૫) નામનો પરપ્રાંતીય મજુર યુવાન કારખાનામાં કામ કરતો હતો.ત્યારે કન્વેન્યર મશીનના બેલ્ટમાં આવી ગયો હતો.જેથી શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને જેતપર પીએસસી ખાતે લઈ જવામાં આવતા ત્યાંથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે અને આ કેસની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા ચલાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે અનેક વખતમાં આ રીતે મશીનના બેલ્ટમાં આવી જવાથી મજૂરોના મોત થતા હોય છે અથવા તો ગંભીર પ્રકારની ખોડખાપણ રહી જતી હોય છે.ત્યારે મશીનોના આ કનવેન્યર બેલ્ટને જો જાળી વડે કવર કરી દેવામાં આવે તો આવા નિર્દોષ લોકોને ભોગ બનતા અટકાવી શકાય આ દિશામાં પણ સિરામિક ઉદ્યોગે કંઈ વિચારવું જોઈએ.
દારૂ કેસમાં બુટલેગરની ધરપકડ
મોરબીના સામાકાંઠે મધુવન સોસાયટીમાં બાતમીને આધારે પોલીસે રેડ કરતા ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી ૧૦૮ બોટલ દારૂ મળી આવ્યો હતો અને જે તે સમયે પોલીસે દારૂ તથા કાર મળીને ૩,૭૫,૧૮૬ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તે સમયે રાજદીપસિંહ દવેરાનું નામ ખુલ્યું હતું. જેથી કરીને હાલ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.જે. લાવડીયા દ્વારા દારૂ કેસમાં રાજદિપસિંહ મેરૂભા દવેરા દરબાર (૨૭) હાલ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ મધુવન સોસાયટી સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.આલિદર તા.કોડીનાર જી.ગીર સોમનાથ ની દારૂ કેસમાં અટકાયત કરી હતી અને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો..? તે કયાં પબોંચાડવાનો હતો..? કેટલી સમયથી 'વેપલો' થતો હતો તે સહિતની દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.
વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા લાભશંકર રામજીભાઈ દાદલ નામના ૩૭ વર્ષના યુવાનને અકસ્માતગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.મળતી માહિતી પ્રમાણે ગત તા.૨૦ ના રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં લાભશંકર દાદલ બાઇક લઈને જઈ રહ્યો હતો.ત્યારે વાંકાનેરની ધમાલપર ચોકડી નજીક તેનું બાઈક અન્ય બાઇક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઇજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.