મોરબીના 602 જમીન કૌભાંડ રફેદફે કરવા શામ, દામ, દંડ ભેદની નીતિ વચ્ચે આરોપી કોણ કોણ બનશે તેના ઉપર સહુની નજર
SHARE
મોરબીના 602 જમીન કૌભાંડ રફેદફે કરવા શામ, દામ, દંડ ભેદની નીતિ વચ્ચે આરોપી કોણ કોણ બનશે તેના ઉપર સહુની નજર
મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને વજેપર ગામે આવેલ કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી રેકર્ડમાં ગંભીર કહી શકાય તેવા ચેડાં કરવામાં આવેલ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મૂળ માલિક ન્યાય મેળવવા માટે ઠેરઠેર રજૂઆતો કરી રહ્યા છે જો કે, સામાપક્ષેથી આ કૌભાંડમાં અધિકારી સાહિત જે લોકોની સંડોવણી હોવાની ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી રહી છે તેઓએ આ કૌભાંડમાંથી પોતાના હાથને ખંખેરી લેવા માટે થઈને હવે શામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવેલ છે અને 602 જમીન કૌભાંડ રફેદફે કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકોએ કલ્પના પણ ન કરી હોય તેવા વ્યક્તિઓ ભલામણો કરવા માટે છાના ખૂલે મથી રહ્યા છે ત્યારે આ ચકચારી જમીન કૌભાંડમાં આગામી દિવસોમાં આરોપી કોણ કોણ બને છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.
મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 ની કરોડ રૂપિયાની જમીન બેચરભાઈ ડુંગરભાઇ નકુમની છે અને તે કિંમતી જમીનને પચાવી પાડવા માટે થઈને બોગસ આધાર પુરાવાઓ ઊભા કરીને તેના આધારે વારસાઈ એન્ટ્રી કરાવવામાં આવી હતી જે અંગેની જમીનના મૂળ માલિકના દીકર સહિતના વારસદારો જાણ થવાથી તેઓએ ખોટી રીતે કરવામાં આવેલ વારસાઈ એન્ટ્રીને રદ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી જો કે, સ્થાનિક અધિકારીઓએ જે તે સમયે જમીનના મૂળ માલિકના દીકરની રજૂઆતો કે પછી તેની પાસે રહેલા પુરાવાઓને ચેક કરવા માટેની તસ્દી લીધેલ ન હતી પરંતુ જમીનના મૂળ માલિકના દીકરા ભીમજીભાઇ બેચરભાઇ નકુમ સહિતના પરિવારજનોએ સ્થાનિક અધિકારીઓ થઈ લઈને હાઇકોર્ટ સુધી અને સરકારમાં મુખ્યમંત્રી સુધી એક નહીં અનેક વખત રજૂઆતો કરી હતી ત્યારે બાદ સ્થાનિક અધિકારીઓએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને કરવામાં આવેલ કૌભાંડની તપાસ શરૂ કરી હતી અને ત્યાર બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા અને એક સરપંચ સામે નામ જોગ ફરિયાદ નોંધાયેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, જેની જમીન કૌભાંડની ફરિયાદ નોંધાયેલ છે તે બે આરોપી હજુ સુધી પકડાયેલ નથી. અને ભોગ બનેલ ફરિયાદીના પરિવારજનોએ થોડા દિવસો પહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણીની હાજરીમાં કલેક્ટરને ધગધગતી રજૂઆતો અને અધિકારી ઉપર આક્ષેપ કર્યા હતા ત્યારે કલેકટરે ભોગ બનેલા પરિવારને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપેલ હતી પરંતુ અફસોસની વાતએ છે કે આજની તારીખે આ ચકચારી કૌભાંડમાં દાખલા રૂપ કરી શકાય તેવી કોઈ કામગીરી રેવન્યુ વિભાગના અધિકારી સામે કલેક્ટર દ્વારા કરવામાં આવેલ નથી. આટલું જ નહીં 602 માં જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેની ફરિયાદ સામે ફરિયાદીને અસંતોષ હતો જેથી કરીને કલેકટરે ત્યારે ભોગ બનેલા પરિવારને વિશેષ નિવેદન પોલીસને આપવા માટે કહ્યું હતું અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કહેવામા આવ્યા બાદ ફરિયાદીએ કૌભાંડમાં સંડોવાયેલા 17 શખ્સોના નામ જોગ વિશેષ નિવેદન આપેલ છે તો પણ હજુ આ કૌભાંડમાં અધિકારી સહિતનાઓને છાવરવા માટેના પ્રયાસ કરવામાં આવતા હોય તેવું ફરિયાદીને લાગી રહ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ આ સમગ્ર કૌભાંડ મામલે ભોગ બનેલા પરિવારે જે 17 શખ્સોના નામ જોગ વિશેષ નિવેદન આપેલ છે તેમાંથી કેટલાક લોકો દઝાડી દે તેવા આ ચકચારી કોભાંડમાંથી પોતાના હાથને ખંખેરી લેવા માટે ઇડીઆઇ ચોટીનું જોર લગાવી રહ્યા છે અને આ કૌભાંડમાં અધિકારી સાહિતનાઓની સંડોવણી હોવાનો ફરિયાદીના પરિવારે કલેક્ટર સમક્ષ આક્ષેપ પણ કર્યો હતો અને આ કૌભાંડની ખુલ્લેઆમ સરકારી કચેરીમાં પણ ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે આ જમીન કૌભાંડમાંથી હાથને ખંખેરી લેવા માટે હવે શામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવવામાં આવેલ છે અને 602 જમીન કૌભાંડ રફેદફે કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને લોકોએ કલ્પના પણ ન કરી હોય તેવા વ્યક્તિઓ જે લોકોના નામ ચર્ચામાં છે તેના માટે લાગુ પડતી જગ્યાઓએ ભલામણો કરવા માટે છાના ખૂલે મથી રહ્યા છે ત્યારે આ ચકચારી જમીન કૌભાંડમાં આગામી દિવસોમાં મહિલા અને સરપંચ સિવાય કોણ કોણ આરોપી બનશે તે તો આગામી સમય જ બતાવશે.









