મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં પકડાયેલ શાંતાબેનના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: સાગર સાવધાર પાસે કરાવશે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન
SHARE
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં પકડાયેલ શાંતાબેનના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: સાગર સાવધાર પાસે કરાવશે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી સહિત કુલ બે આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જો કે, મહિલા આરોપીના એક જ દિવસના રિમાન્ડ મળ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીન કૌભાંડની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે મહિલા સહિત બે લોકોની સામે નામ જોગ અને તપાસમાં જેના નામ સામે આવે તે રીતે ફરિયાદ માર્ચ-૨૦૨૫ માં નોંધવવામાં આવી હતી આ ગુનાની તપાસ સીઆઇડીના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટીમે છેલ્લે મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (70) રહે. લાભનગર મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર (39) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપી મહિલા શાંતાબેન પરમારના એક જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે શુક્રવારે બપોરે પૂરા થતાં મહિલા આરોપી શાંતાબેનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટના આદેશ મુજબ તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.
જો કે, આ ગુનાના કામે પકડાયેલ આરોપી સાગર સાવધારના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી સીઆઇડીની ટિમ દ્વારા હજુ તેની જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવા માટેની પણ કાર્યવાહી પણ કરવામાં આવશે. તેવું સીઆઇડીના અધિકારી રિમાન્ડ માંગવાના મુદામા જણાવ્યુ હતું. કેમ કે, સાગર સાવધાર સ્ટેમ્પ પેપર લેવા માટે ગયો હતો, શાંતાબેનના અંગૂઠાને ઓળખી બતાવે હતો, શાંતાબેનનું બોગસ પાન કાર્ડ બનાવ્યું હતું જેમાં શાંતાબેનના પિતાનું નામ ખોટું લખવામાં આવ્યું છે, આઈડીએફસી બેંકમાં શાંતાબેનનું ખાતું ખોલાવવા માટે ગયો હતો જેથી આ બધી જ જગ્યાએ આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવશે અને આ કૌભાંડ માટે જે નાણાકીય લેવડ દેવડ કરવામાં આવી છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે
હાલમાં મોરબીમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે, મહિલા આરોપી શાંતાબેન દ્વારા અગાઉ હાઇકોર્ટ અને હાલમાં મોરબીની કોર્ટમાં જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેમાં પોતે નિર્દોષ હોવાનું કહીને તાજના સાક્ષી બનવા માટે તૈયાર છે. તેવું તેના વકીલે કોર્ટમાં કહ્યું હતું જેથી આ સોગંદનામાંમાં કોના કોના નામ છે અને હવે આગામી દિવસોમાં કોના કોના પગ નીચે રેલો આવે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.
આ કેસમાં એક બાજુ જમીનના મૂળ માલિક અને ફરિયાદી દ્વારા આરોપી તરીકે ૧૭ લોકોના નામ સાથે સીઆઇડીને વિશેષ નિવેદન આપવામાં આવ્યું છે. અને બીજી બાજુ શાંતાબેન દ્વારા મોરબીની કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આ ગુનામાં કોનો શું રોલ છે તે સહિતની માહિતી કોર્ટમાં આપીને વટાણાવેરી નાખ્યા છે ત્યારે ઘણા લોકોને હવે એસી ઓફિસમાં બેઠા બેઠા પણ પરસેવો વળવા લાગ્યો છે. તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. અને ચોક્કસ લોકોના ફોનની ઘંટળીઓ સતત રણકવા લાગી હોવાનું લોકોમાં અને અધિકારી આલમમાં ચર્ચાઇ રહ્યું છે.