મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ
સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા
SHARE
સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા
ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના જે ભાવ તાજેતરમાં આપવામાં આવેલ છે તેમાં કાયમી ગ્રાહકો અને આપદા સમયે આવેલા ગ્રાહકોના ભાવમાં જમીન આસમાનનો તફાવત છે જેથી કરીને ઉદ્યોગકારોમાં ભારે રોષની લાગણી છે અને કાયમી ગ્રાહકને સરેરાશ 65 રૂપિયા તેમજ આપદા સમયે આવેલા નવા ગ્રાહકોને સરેરાશ 90 થી વધુનો ભાવ આપવામાં આવેલ છે ત્યારે સરકાર દ્વારા દરમ્યાનગીરી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી ગેસ આપવામાં આવે તો વહેલી તકે મોરબીમાં બંધ પડેલા સિરામિકના કારખાના ચાલુ થઈ શકે તેમ છે તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખે જણાવ્યુ છે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારબાદ મોરબીમાં પ્રોપેન ગેસ મળતો બંધ થયો છે જેથી પ્રોપેન ગેસના આધારે જે મોરબીના સિરામિક ટાઇલ્સના કારખાનામાં ઉત્પાદન થતું હતું તે કારખાના અંદાજે એક મહિનાથી બંધ છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસ આપવામાં આવે છે જો કે, એપ્રિલ મહિનામાં ઉદ્યોગકારોને ગેસ આપવા માટે ગુજરાત ગેસ કંપની તરફથી મોરબીના રઉદ્યોગકારોને ઈમેલ મારફતે જે ગેસના ભાવ આપવામાં આવેલ છે તેને જોઈને મોરબીમાં કારખાના ચાલુ થાય તેની રાહ જોઈને બેઠેલા ઉદ્યોગકારોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.
મોરબીના સીરામીક કારખાનામાં નેચરલ ગેસ આપવા માટે ગુજરાત ગેસ કંપની દ્વારા એક જ ભાવ આપવાના બદલે અલગ અલગ કેટેગરી અને ટકાવારી મુજબના ભાવ સેટ કરીને આપવામાં આવેલ છે આટલું જ નહીં પરંતુ છેલ્લા 6 મહિનાથી નેચરલ ગેસ વાપરતા ગ્રાહકોને જુદો ભાવ અને પ્રેપેન ગેસ ન મળવાથી નેચરલ ગેસ લેવા માટે આવેલા ગ્રાહકોને જુદો ભાવ આપવામાં આવેલ છે જેને તેઓના ભાવમાં તોતિંગ તફાવત છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ગુજરાત ગેસ કંપનીની બેધારી નીતિ મોરબીના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડી દેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતું કે, એપ્રિલ માહિનામાં ગુજરાત ગેસ કંપનીએ જે ભાવ આપેલ છે તેમાં છેલ્લા છ મહિનાથી નેચરલ ગેસનો ઉપયોગ કર્યો હોય તેવા કાયમી ગ્રાહકોને મહિનાના કુલ વપરાશમાંથી 50 % વપરાશ સુધી 52 રૂપિયા, 50 થી 80 % સુધી 75 રૂપિયા અને 80 થી 100 % સુધી 85 રૂપિયાનો પ્રતિ કયુબિક મીટર ગેસનો ભાવ આપવામાં આવ્યો છે આમ સરેરાશ કાયમી ગ્રાહકને 65 રૂપિયા જેવા ભાવથી ગેસ મળે તેમ છે. જો કે, પ્રોપેન ગેસ ન મળતો હોવાથી નેચરલ ગેસ લેવા આવેલા નવા ગ્રાહકોને 88થી 90 રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસનો ભાવ આપવામાં આવેલ છે
વધુમાં તેઓ જણાવ્યુ હતું કે, મોરબીમાં એક જ ઉદ્યોગમાં, એક જ પ્રકારની પ્રોડક્ટ બનાવવા માટે ગેસ કંપની દ્વારા જુદાજુદા બે ભાવ ગેસ માટેના આપવામાં આવેલ છે જેથી કારખાનેદારોની મુશ્કેલી વધી ગયેલ છે ત્યારે સરકાર દ્વારા ગેસના ભાવ બાબતે દરમ્યાનગીરી કરીને મોરબીના દરેક સિરામિક કારખાનેદારને એક જ ભાવથી નેચરલ ગેસ આપવામાં આવે તો એક મહિનાથી બંધ પડેલા મોરબીના સિરામિક કારખાના વહેલી તકે ચાલુ થઈ શકે તેમ છે.
ઉલેખનીય છે કે, કોઈપણ ઉદ્યોગકાર જે રો મટીરીયલ સસ્તું પડે તેનો ઉપયોગ કરીને પોતાની સારામાં સારી પ્રોડક્ટ બનાવે છે તેવી જ રીતે મોરબીના ઉદ્યોગોને નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસ અગાઉ સસ્તો પડતો હતો જેથી પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં હતા જો કે, યુદ્ધના કારણે હાલમાં પ્રોપેન ગેસ મળતો બંધ થયો છે ત્યારે નેચરલ ગેસનો સપ્લાઈ કરતી કંપનીએ તકનો લાભ લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે અહીના ઉદ્યોગોકારો લોકલ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે અને વહેલી તકે કારખાના ચાલુ થાય તે માટે એક જ ભાવથી નેચરલ ગેસની સરકાર નહીં નફો નહીં નુકશાનના ધોરણે સપ્લાય કરે તે જરૂરી છે.