જળ વ્યવસ્થાપન માટે મોરબીના લક્ષ્મીવાસ ગામનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની હાજરીમાં કરાયું સન્માન
ભૂતકાળનું પુનરાવર્તન !?: મોરબી મનપા સંચાલિત નંદીઘરમા 8 જેટલા ખૂંટીયાના મોતથી અરેરાટી
SHARE
ભૂતકાળનું પુનરાવર્તન !?: મોરબી મનપા સંચાલિત નંદીઘરમા 8 જેટલા ખૂંટીયાના મોતથી અરેરાટી
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મહાપાલિકાની જગ્યામાં નંદીઘર બનાવવામાં આવ્યું છે અને નંદીઘરમાં રાખવામાં આવેલા ખૂંટીયામાંથી લગભગ 8 થી 9 જેટલા ખૂંટીયાઓના કોઈ કારણોસર મોત થયા છે જેથી ગૌવંશ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે કોંગ્રેસ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરીને બેદરકાર અધિકારી અને નંદીઘરના સંચકલોની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
મોરબી નગરપાલિકા હતી ત્યારે મોરબી શહેરને ઢોર મુક્ત કરવાની વાતો કરીને જે તે સમયની ભાજપની બોડી દ્વારા પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવવામાં આવ્યું હતું જોકે આ નંદીઘરની અંદર રાખવામાં આવેલા નદીઓમાંથી અસંખ્ય ગૌવંશોના લંપી વાયરસ દરમિયાન મોત નિપજ્યાં હતા અને નંદીઘરના વહીવટના નામે મોટું કૌભાંડ થયું હોવાનો જે તે સમયે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગરપાલિકાની ભાજપની બોડી સુપર સીડ થયા પછી નંદીઘરમાં રાખવામાં આવેલ અબોલજીવને જુદી જુદી ગૌશાળાને સોંપીને નંદીઘરને બંધ કરવામાં આવ્યું હતું.
જો કે, મહાપાલિકા દ્વારા માર્ચ 2026 થી ફરી પાછું નંદીઘર કાર્યરત કરવામાં આવ્યું હતું અને ત્યાં શહેરના જુદા જુદા વિસ્તારમાં રસ્તા ઉપર રજડતા નંદીઓને પકડીને રાખવામાં આવે છે અને આ નંદીઘરનું સંચાલન પશુબા ટ્રસ્ટને મહાપાલિકા દ્વારા સોંપવામાં આવ્યું છે. અને આજની તારીખે ત્યાં લગભગ 900 જેટલા નંદીઓને રાખવામાં આવ્યા છે તે પૈકીના 8 થી 9 જેટલા નંદીઓના ત્યાં સ્થળ ઉપર જ મોત થયા છે અને નંદીઘરમાં રાખવામાં આવેલા નદીઓની યોગ્ય રીતે દેખભાળ રાખવામાં આવતી ન હોય અને દરકાર લેવામાં આવતી ન હોય મૃત્યુ પામેલા નંદીઓના શરીર ફુગાઈ ગયા છે જેથી એક કરતાં વધુ દિવસથી નંદીઓના મૃત્યુ થયા પછી પણ તેના બોડી ત્યાં પડ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ બાબતે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, કે.ડી.પડસુંબિયા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવેલ છે અને મહાપાલિકા દ્વારા નંદીઘર નંદીઓના જતન માટે બનાવવામાં આવે છે કે કતલ માટે તેવો સવાલ કરેલ છે. આ બાબતે મનપાના અધિકારી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, નંદીઘરનું સંચાલક ટ્રસ્ટને સોંપવામાં આવેલ છે જો કે, નંદીઓના મોત કયા કારણોસર થયા છે તે જાણવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે.