મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો
મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાયઓવર બ્રીજનું કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરાયું ખાતમૂહુર્ત
SHARE
મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાયઓવર બ્રીજનું કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરાયું ખાતમૂહુર્ત
મોરબી શહેરના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડીએ ૨૧.૬૧ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનું કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ સહિતના હાજર રહ્યા હતા
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રીજના ખાતમૂહુર્ત પ્રસંગે યોજાયેલ સમારંભમાં સભાને સંબોધન કરતાં મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ ગુજરાતના તમામ વર્ગોનો રોડની કનેક્વીટી થકી સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે. આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે લોકોની અગવડતાને દૂર કરવા માટે અનેકવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે જેમાં આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં ૧૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૩૩ રોડના ૨૫૦૦ કિ.મી. ના રસ્તાનું કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં રોડરસ્તાઓની વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ મોરબી શહેરની ફરતે ચારેબાજુ રીંગરોડના નિર્માણ માટે પ્રયાસો હાથ ધરીને ભારે માલવાહક વાહનો શહેરની બારોબાર પસાર થઇ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત હેવી લોડેડ વાહનો ચાલે તો પણ રસ્તાઓ લાંબા સમય સુધી ટકી રહે તેવા ઉત્તમ રસ્તાઓનું નિર્માણ ચાલી રહ્યું છે.
આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીની ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે નવા રસ્તાઓ અને બ્રીજ બનાવી વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવી જિલ્લાના વિવિધ રસ્તાઓનું ૩૦૯ કરોડ રૂપિયાના ખર્ચે કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ઉપરાંત સીરામીક ઝોનના રસ્તાના પ્રશ્નોના ઉકેલ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમએ જણાવ્યું હતું કે, મોરબીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઇ રહ્યા છે. મોરબી જિલ્લો સીરામીક હબ હોઇ મોરબી જિલ્લાના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓના નિર્માણ માટે પણ અનેક કામોને મંજૂરીઓ આપવામાં આવી છે.
આ કાર્યક્ર્મમાં મંત્રીઓ ઉપરાંત હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો સહિતના હાજર રહ્યા હતા.