મોરબીના બેલા નજીક બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત
SHARE
મોરબીના બેલા નજીક બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા અને રંગપર વચ્ચે બસ સ્ટેશન નજીક નાલા પાસેથી બાઇક લઇને જઇ રહેલા આધેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી આધેડનું મોત નિપજ્યું હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબીના તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, મોરબીના જેતપર રોડ ઉપર બેલા અને રંગપર વચ્ચે બેલાના બસ સ્ટેશન પાસેના નાળા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક નંબર જીજે ૩ સીબી ૯૯૯૨ લઈને જઈ રહેલા જેરામભાઈ વકીલભાઈ મંડલ નામના ૫૨ વર્ષીય આધેડને બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન ચાલકે બાઇક સહીત હડફેટે લેતા પગના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત જેરામભાઈ મંડલને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. બાદમાં બનાવ સંદર્ભે મૃતકના નાના ભાઈ પ્રહલાદ વકીલભાઇ મંડલ (૩૮) હાલ રહે.જનકપુરી સોસાયટી મહેન્દ્રનગર મોરબી-૨ વાળાએ અજાણ્યા વાહનચાલક સામે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેઓના મોટા ભાઈ જેરામભાઈ વકીલભાઇ મંડલ બાઇક લઇને કારખાનેથી ઘર તરફ જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેમના ભાઈને બાઇક સહિત હડફેટે લીધા હતા અને પગના સાથળથી ગોઠણ સુધીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેઓનું મોત નીપજાવ્યું હતું.બનાવ સંદર્ભે હાલમાં પીએસઆઇ વી.બી.પિઠીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વાહન અકસ્માત-મારામારીમાં ઈજા
મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ નજીક રહેતા ભારતીબેન જકસીભાઈ નામના ૬૦ વર્ષિય વૃદ્ધાને અજાણ્યા કારચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત ભારતીબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા જુના ઘાંટીલા ગામે રહેતા લાભુભાઈ નાનજીભાઈ ઉપાસરીયા નામના ૫૧ વર્ષીય આધેડ ખાખરેચી ગામની પાસેથી બાઇક લઇને જતા હતા ત્યારે ખાખરેચીના પાંજરાપોળ નજીક તેમના બાઇકની આડે અચાનક કૂતરું આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત લાભુભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.