હળવદના સુખપર ગામે થયેલ અકસ્માતમાં વૃદ્ધાના મોત અંગે ગુનો નોંધાયો
SHARE
હળવદના સુખપર ગામે થયેલ અકસ્માતમાં વૃદ્ધાના મોત અંગે ગુનો નોંધાયો
મોરબીના હળવદ તાલુકામાં હળવદ-ધાંગધ્રા હાઈવે ઉપર સુખપર ગામ નજીક નદીના પુલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર ડિવાઇડરની સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં મોરબીના વીસીપરામાં રહેતા એક વૃઘ્ધાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલક તથા તેની પત્ની અને પુત્રીને પણ ઇજાઓ થતાં ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા.બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધાના પુત્ર દ્વારા કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ-ધાંગધ્રા હાઈવે ઉપર સુખપર ગામે નદીના પુલ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં હુંડાઈ એસન્ટ કાર નંબર જીજે ૧ એફટી ૧૬૭૧ ને પૂરઝડપે બેફિકરાઈથી ચલાવનાર કારના ચાલક ધર્મેન્દ્ર ઉર્ફે મુનો દલસુખભાઈ શુકલ રહે.અમદાવાદ એલિસબ્રિજ સુખીભુરા સોસાયટી શારદા સ્કૂલ સામે આંબાવાડી અમદાવાદ વાળાએ વાહન અકસ્માતનો બનાવ સર્જ્યો હતો.ગત તા.૨૮-૨ ના બપોરના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં તેણે કાર ઓવરસ્પીડમાં ચલાવતા ધડાકાભેર કાર રોડના ડીવાઇડર સાથે અથડાઈ હતી જે બનાવમાં ફરિયાદી કાનજીભાઈ મગનભાઈ કાળાધમર (૪૬) રહે.મોરબી વીસીપરા અમરેલી રોડ વાળાના માતા કે જેઓ પણ તે કારમાં બેઠા હતા તેઓનું ઘટનાસ્થળે હાથે-પગે અને માથામાં ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું.જ્યારે કારચાલક ધર્મેન્દ્રભાઈ શુકલના પત્ની વિમળાબેન અને તેઓની દિકરી હેમાંગી ૧૧ વર્ષને હાથે પગે શરીરે ફ્રેક્ચર જેવી તેમજ નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.તેમજ કારચાલક ધર્મેન્દ્રભાઈને પણ હાથેપગે અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.હાલ મૃતક વૃદ્ધાના પુત્ર કાનજીભાઈની ફરિયાદને આધારે કારચાલક ધર્મેન્દ્રભાઈ શુકલની સામે હળવદ પોલીસે ગુનો નોંધ્યો છે જેની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એમ.સદાદીયા ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રહેવાસી શાંતિભાઈ માવજીભાઈ બાવરવા નામના એકસઠ વર્ષીય વૃદ્ધ જુનાગઢથી બાઈકમાં કલાણા ગામ તરફ જતા હતા ત્યારે જૂનાગઢ નજીકના ધંધુસર ગામ પાસે તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત શાંતિલાલ બાવરવાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના સોની બજાર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં વનીતાબેન પીતુભાઈ અશોકભાઈ દેવીપુજક (૨૦) રહે.મોરબી વીશીપરાવાળીને ઇજાઓ થતા સારવારમાં સિવિલે લાવવામાં આવી હતી. તે રીતે જ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા કરણ રમેશભાઈ અગેચાણીયા નામના ૨૩ વર્ષીય યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.પોલીસે ઉપરોકત ત્રણેય બનાવોની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.









