મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટે પતિ સહિત ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા
મોરબી જિલ્લામાં ૪.૧૩ કરોડના સુજલામ સુફલામ જળ અભિયાનના ૧૨૪ કામો કરાશે
SHARE
મોરબી જિલ્લામાં ૪.૧૩ કરોડના સુજલામ સુફલામ જળ અભિયાનના ૧૨૪ કામો કરાશે
સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા પહેલાં જળ સંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો લોકભાગીદારી, મનરેગા, ખાતાકીય રીતે થાય તે માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ગત ૧૯ માર્ચના રોજ મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ નો માળીયા તાલુકાના વેજલપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં સ્ટેટ સિંચાઇ વિભાગ દ્વારા ૨૬ કામો પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ૧૯ કામો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૬ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૭ કામો, નગરપાલિકાઓ દ્વારા ૩૬ કામો તેમજ વન વિભાગ દ્વારા ૧૦ કામો હાથ ધરવામાં આવશે. આમ તમામ વિભાગો મળીને કુલ ૧૨૪ કામો મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત હાથ ધરાશે અને તેના માટે અંદાજે ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અભિયાન દરમિયાન અંદાજે ૪,૫૩,૭૧૬ ઘન મીટર માટીનો જથ્થો કાઢવામાં આવશે તેમજ ૧૩૧ કિ.મી. લંબાઇની નહેરોની સફાઇ અને મરામત કામ હાથ ધરવામાં આવશે.
જલ શક્તિ અભિયાન
ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન-૨૦૨૨ અંતર્ગત તા. ૨૯ માર્ચના રોજ તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં તા. ૨૯ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ખાસ ગ્રામ સભા યોજાશે આ ગ્રામ સભામાં ૧૧.૦૦ કલાકથી રાષ્ટ્રપતિ દ્વારા આ વિષય ઉપર સંવાદ અને ઉદ્દબોધન કરવામાં આવશે જેનું ઉપસ્થિત તમામ ગ્રામજનો લાઇવ નિહાળી શકશે.
વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રયત્ન, પ્લાનિંગ અને પુરુષાર્થ થકી જીવનમાં સ્વપ્નો પૂરા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. અવાર નવાર શાળાને ઉપયોગી અને સહકાર આપતા મૂળ નેકનામના ઉદ્યોગપતિ એવા સાણંદિયા બંધુઓનો આચાર્યએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.